RSS

અહં બ્રહ્માસ્મિ : ધરતી, અંબર, પરબત, સાગર, મૈં જીત દેખું ઉસકો પાઉં… ફિર મૈં કાહે મંદિર જાઉં?

04 Oct

સામાન્ય રીતે છપાયેલા લેખ તરત જ બ્લોગ પર મુકવાના ‘લોકપ્રિયતા’ ઉઘરાવવાના ધખારાનો હું સૈદ્ધાંતિક વિરોધી રહી, અસામાન્ય સંજોગો સિવાય ક્યારેય જે અખબાર મને લખવાનું વળતર આપે છે, એની સાથેનો પ્રિન્ટ કોપીની શાહી પણ સુકાય એ પહેલા ઓનલાઈન વાચકો મેળવવાનો આવો ઉઘાડો દ્રોહ કરતો નથી. પણ આજ (૩ ઓક્ટોબર)નો લેખ કેટલીક મિસ્ટેક્સ સાથે છપાયો છે. એક-બે લીટી ચવાઈ પણ ગઈ છે. અને વિષય તાજો છે. એટલે જરૂરી સુધારા કરી અત્રે મૂકી દઉં છું. ભલે જરાક ‘ઓવર’ લાગે પણ ‘ઓહ માય ગોડ’  ફિલ્મ તો વધુ ને વધુ લોકો જોઈને કંઇક વિચારતા થાય એવી મારાં અનુભવોમાંથી નીકળેલી દિલી તમન્ના છે. મેં મૂળ નાટક જોયું ત્યારે જ મને એ બહુ ગમેલું. એ વખતે સચિન ખેડેકર – કમલેશ મોતાએ ભજવેલું ને એનો ક્લાઈમેક્સ વધુ ડાર્ક હતો. મેં તો ત્યારે ય મારી કોલમમાં એને મેં જોયેલા શ્રેષ્ઠત્તમ ગુજરાતી નાટકો પૈકીનું એક કહ્યું હતું. માટે ફિલ્મ રિલીઝ થઇ એ શુક્રવારે તો હું સવારે રાજકોટ આકાશવાણી પર ઇન્ટરવ્યુ આપી પાછો ગોંડલ આવેલો. હમણાં હમણાના આધાશીશીના હુમલાઓને લીધે સુઈ ગયેલો. અન્ય કાયમી મિત્રોના પ્લાન જુદા હતા. પણ આ ફિલ્મ જોવાની ચટપટી એવી કે અંતે એકલો જ ભાગ્યો ઉભાઉભ છેલ્લા શોમાં રાજકોટ ફિલ્મ જોવા સારથી અને પેટ્રોલચલિત રથ લઈને 😉 અને તાલાવેલી તથા ટિકિટ-ફ્યુઅલનો કુલ હજારેકનો સ્પેશ્યલ ખર્ચ વસૂલ થઇ ગયો. રાતના જ ઘેર આવી ડોક્ટરની મનાઈ છતાં ઉજાગરો કરી લખ્યું..બીજે દિવસે બપોરે અધુરો લેખ પુરો કર્યો ત્યાં તો બુધવારની પૂર્તિની શનિવાર મધ્યાહ્નની ડેડલાઇન ચૂકાઈ ગઈ હતી. એટલે બિચારા કમ્પોઝવાળા મિત્રોએ ય ઉતાવળે કમ્પોઝ કરવું પડેલું. એમાં જ કરેક્શન રહી ગયા જરા વધુ પ્રમાણમાં આ વખતે 😛 જો કે, સ્વયમ પરેશ રાવલને એ એટલો ગમ્યો કે એમણે મને વાંચીને અણધાર્યો જ ફોન કર્યો સામેથી….એટલે એમને  આટલા સારા અભિનયનો એવાર્ડ મળે, એ પહેલા મને મળી ગયો lolzz 🙂 btw, ઓલરેડી આ લેખની વર્ષો જૂની પ્રિકવલ કહેવાય એવો મારો આ લેખ તો તમે અહીં વાંચી જ લીધો હશે. ફિલ્મ ને ફેસબુક પર મારાં અલગ અલગ સ્ટેટસ પર વાચકોએ વધાવી જ છે , પણ મલ્ટીસ્ટારકાસ્ટ કે રોમાન્સ, હોરર, આઈટેમ સોંગ, એક્શનના કોઈ ગતકડાં વિનાની જોખમી ડિબેટ હોવા છતાં  બોક્સ ઓફિસ પર પણ  એ ધાર્યા મુજબ કુદકેને ભૂસકે એ સફળ થઇ  રહી છે. મેં લેખ લખતી વખતે ધ્યાનમાં રાખેલું કે હજુ રિલીઝ તાજી જ છે, એટલે ફિલ્મ / નાટક જોયું ના હોય એવા મિત્રોનો રસભંગ ના થાય છતાં ય મૂળ મુદ્દાની છણાવટ આવી જાય એમ લખવું, એટલે ના જોઈ હોય તો ય વાંચી શકો છો. પણ વાંચીને જોજો જરૂર ! ને જોઈને કશુંક શીખજો…મારી તો અંગત અનુભૂતિ પણ આ ફિલ્મ જેવી જ છે…:)

 

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર

તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર

 

હેઠા મૂકાશે હાથ ને ભેગા થશે પછી જ

કોશિશ જ્યાં પતે, ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

 

જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં

લાગે છે તને દૂરના ચશ્મા ય ઈશ્વર

 

કહે છે તું મંદિરે છે કેવો હાજરાહજૂર

તું પણ શું ચકાચૌંધથી અંજાય છે ઈશ્વર?

 

થોડાં જગતના આંસુઓ ને થોડા મરીઝના શેર,

લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર?

 

સૌમ્ય જોશીની કવિતાની અહીં પસંદીદા પંક્તિઓ યાદ આવી. અને સાથે યાદ આવ્યો આ ટૂચકો.

એક બહેનજી શરદીની ફરિયાદ કરતાં ડૉકટર પાસે દવા લેવા ગયા. ડૉકટરે કહ્યું પાણીના ટબમાં બરફ નાખી, એમાં એક કલાક પડ્યા રહેવું, અને એસી લોએસ્ટ ટેમ્પરેચર પર ચાલુ રાખવું.

બહેન મૂંઝાઇ ગયા. પૂછ્‌યું ‘સાહેબ, આવું કરવાથી કંઇ શરદી મટી જાય?’

ડૉકટરે ફીના પૈસા ગણતા ગણતા જવાબ આપ્યો. ‘ના, પણ તમને ન્યુમોનિયા થઇ જશે અને એની મોંઘી દવાઓનો હું સ્પેશ્યાલિસ્ટ છું, એ ત્યારે લખી શકીશ!’

આપણા મોટા ભાગના ધાર્મિકતાના (ધર્મ તો બહુ દૂરની વાત છે, અને અઘ્યાત્મ તો અનંત કોટિ બ્રહ્માંડ દૂર છે!) ધંધાર્થીઓ આ ડૉકટર જેવા હોય છે! જરાક દુખથી પીડાતો દર્દી પહોંચે, એટલે એમને નવા – નવા દરદો વળગાડીને જૂનું મટાડવાના નામે ગભરાવીને મોટી બીમારીનો કાયમી રોગી બનાવી, પોતે ભોગી બનીને યોગી હોવાનો તમાશો કર્યા કરે!

ધર્મપ્રચાર કરતાં શિક્ષણવિચારને વઘુ મહત્વ આપતા દેશવિદેશ ફરેલા એક સાહિત્યપ્રેમી સ્વસ્થ સંત સ્વામીનારાયણ સંપ્રદાયના શ્રી માધવપ્રિયદાસજીએ એક જાહેર વ્યાખ્યાનમાં અદ્‌ભુત પારદર્શકતા સાથે ભાવકોને કહેલું કે ‘‘અમારા ક્ષેત્રમાં પણ ભિક્ષુકો વધી ગયા છે. આશીર્વાદથી ઉદ્‌ઘાટન સુધી અમે (ભારતના અઢળક ધર્માચાર્યો- એમની સિમ્પલ જનરલ કોમેન્ટમાં અર્થનો અનર્થ કરવો નહિ) સતત સમાજ પાસે જઇને કોઇ પ્રવૃત્તિ, પ્રસિદ્ધિ કે પૂજાપાઠ માટે ફંડ જ ઉઘરાવતા ફરીએ હાથ લંબાવીને, – આમાં સંતત્વનું સત્વ કે અઘ્યાત્મમાંથી જાગતી અવિચળ અસ્મિતા ક્યાં આવી?’’

સદ્‌નસીબે આપણી પાસે હજુ આવા સમજદાર સાઘુઓ થોડી-ઘણી જગ્યાએ છે. (મોરારિબાપુ જેવા તો ધનનો કળા-સાહિત્ય-સંવેદનાને વેગ આપવા છુટ્ટે હાથે ઉપયોગ કરી ‘બાવાડમ’નો ઉઘાડો વિરોધ પણ કરે છે. )

પણ આપણે વાત કરીએ છીએ તકલાદી અને તમાશાપ્રેમી ‘તકસાઘુ’ઓની! જે સમાજની ગુણવત્તા પર નહિ, પણ કાયરતા પર જીવે છે!

* * *

ભારતમાં વઘુ મંદિરો જોવા મળે. બાકી આમ તો તમામ પ્રકારના ધર્મસ્થાનકો અને આશ્રમો, મઠો જેવા એની સાથે જોડાયેલા સંસ્થાનોમાં પથ્થર જોવા મળે છે. અલગ – અલગ ઘાટ અને આકારના પથ્થર. લિસ્સા અને ખરબચડા, શ્વેત અને શ્યામ પથ્થર. રત્નજડિત અને સુવર્ણઆભૂષણમંડિત પથ્થર. ગોળ, ચોરસ પથ્થર. જેમને મનગમતા આકારોમાં ઢાળવામાં આવે છે. અને પછી એમની એજન્સી લઇને પથરા જેવા શ્રદ્ધાળુઓના ટોળાને ઉસ્તાદ ‘કલાકાર-કસબી’ઓ પોતાને મનગમતા આકારમાં ઢાળે છે. માનસિક રીતે એમને પોતાના જેવા, સોરી, પથ્થર જેવા જડ બનાવી દે છે.

મંદિરો-મસ્જીદો બહાર આપણે ત્યાં સૌથી વઘુ ભિખારીઓ લટાર લગાવતા હોય છે. મફતિયાવૃત્તિથી જ ત્યાં અડ્ડો જમાવી બેસે છે. ચપ્પલ ચોરાવાથી લઇને દર્શન કરાવવા સુધીની ઉઘાડી છેતરપીંડી પણ ત્યાં જ ચાલે છે.

અને આ ભિખારીઓની કતાર વળોટી મંદિરમાં દાખલ થાવ, ત્યાં પણ સોફિસ્ટિકેટેડ બૅગર્સ જ જોવા મળે છે. મોટી ચરબીવાળું દાન નોંધાવો, તો વજનદાર ટ્રીટમેન્ટ મળે. ભગવાન જાણે એમની ‘ડિસ્કવરી’ નહિ, પણ ‘લેબોરેટરી ઈન્વેન્શન’ હોય એમ એમની સૉલ સેલિંગ પૅટન્ટ પર કબજો કરેલા આ બૅગર્સ હોય છે. એમાંના કેટલાક બીજાઓને સંબંધોમાં પ્રેમની વાત કરતા પોતાના ઘરસંસારને સાચવી શકતા નથી. કેટલાક સંસારત્યાગીઓ સમાજને સંપ અને સંયમની વાતો કરતા કરતા પોતે પોતાના જેવા જ ધંધાકીય હરીફ સામે લીલું ઝેર ઓકવા લાગે છે. અંદરોઅંદર મારામારી કરીને કોર્ટે ચડે છે! બાકીના કેટલાક એરણની ચોરી કરી, સોયનું દાન કરે છે. અગાઉ પણ લખેલું – ભારતભરમાં કોઇપણ ધર્મનું એવું ધર્મસ્થળ બતાવો, જ્યાં સમાજમાં સફેદી ફેલાવવાવાળાઓ એવું પાટિયું લગાડીને બેઠાં હોય કે ‘‘અહીં કાળા નાણાનું દાન સ્વીકારવામાં આવતું નથી!’’ ક્યાંય નીતિમત્તાના ન્યાયાધીશો આ નિયમ પાળી શકે તેમ નથી. એમને એમનો પથારો ચલાવવો હોય છે.

અને ત્રીજા પ્રકારના ભિખારીઓ આ બધા મંદિર – મસ્જીદ- મઠ – ગિરિજાઘર – ગુરૂદ્વારા વિગેરેની અંદર હોય છે જે પોતાની માંગણીઓનું લાંબુલચ લિસ્ટ લઇને હાજર થઇ જતાં હોય છે. સંતાનમાં દીકરો આપજો, દીકરીનું સગપણ કરાવજો, પરીક્ષામાં પાસ કરજો, રોગ દૂર કરજો, સ્વર્ગ આપજો, મોક્ષ આપજો. દે દે, ભગવાન, અલ્લાહ, વાહે ગુરૂ, ગોડ દે દે. બીજા કરતાં ઝાઝું દે. અબઘડી ને અત્યારે જ દે. હું જ સ્પેશ્યલ બૅગર છું. પહેલા મારી બૅગ ભરી જ દે.

ધર્મસ્થાનકોમાં દિવ્ય, પવિત્ર વાયબ્રેશન્સ હોય છે, એવું કહેવાય છે. પણ અહીં તો જ્યાં જુઓ ત્યાં કાનના પડદા ધ્રુજાવતા ઘોંઘાટના વાયબ્રેશન્સ હોય છે. આસ્થા એક ગૃહ-ઉદ્યોગ થઇ ગયો છે. વ્યસનમુક્તિની અપીલ કરતા ધર્મના સ્થાનક સામે એના જ નામનો પાનનો ગલ્લો હોય, એ જોઇને કોઇની લાગણી નથી દુભાતી. જીવજંતુઓની હિંસાને પાપ સમજતાં પુણ્યાત્માઓ જ્યારે માણસો મરાવી નાખે છે, ત્યારે કોઇના પેટનું ગંગાજળ કે આબેઝમઝમ હલતું નથી. અભક્ષ ખોરાક વર્જ્ય ગણનારા શુઘ્ધાત્માઓ મફતમાં જમીનો બબ્બે કટકે ‘ખાઇ’ જાય છે!

પ્રેમચંદની વાર્તા ‘ગાંઠ’  ( જે સૂચક શીર્ષક ધર્મની ધુતારુ ટોળકીઓએ સમાજમાં ઉભી કરેલી, છૂટે નહિ એવી  ગાંઠો પરથી જ  આવ્યું હતું) પરથી સત્યજીત રાયે ફિલ્મ બનાવી હતી: સદ્‌ગતિ. જેમાં પંડિતજીના ઘેર દીકરીના લગ્નના કરજ ખાતર લાકડા ફાડવા જનાર અસ્પૃશ્ય ચમાર ભૂખ્યો જ મરી જાય છે, જેની લાશને અંધારામાં પંડિત ગાળિયો નાખી ઢસડીને લઇ જાય, ત્યારે માણિકદા (સત્યજીતબાબુ) કેમેરા એમની જનોઇ તરફ ફોકસ કરે છે. સિમ્બોલિક ગાળિયો છે, આ કર્મકાંડોના બંધનના દંભનો. રિચ્યુઅલ વઘ્યા છે, સ્પિરિચ્યુઅલનું શું?

એવો કશો ખટકો આપણે ત્યાં કોઇને થતો નથી. ધર્મસ્થળો પાસેની ભીડ મનને સ્વચ્છ તો કરતાં કરશે, પણ પહેલા તો આસપાસ જ ભયંકર ગંદકી કરે છે. કોઇકનું બૂરૂં કરવા માટે ભગવાનને સારીસારી ભેટો ચડાવે છે. સ્થિતપ્રજ્ઞતાની વાતો કરતા કરતા પશ્ચિમ સામે (મૂળ તો દરેક મોરચે પરાજયના ફ્રસ્ટ્રેશનથી) યાદ કરી કરીને દ્વેષ ઓકે છે. સેક્સની ટીકા કરવામાં જ એટલો રસ પડે, કે સેક્સને બદલે એની સુગાળવી એલર્જી જ  એક મનોવિકૃતિ થઇ જાય! નાતજાતના, શિષ્યોના-ગુરૂઓના, પંથો-મતોના, સૂર્ય-ચંદ્રના વાડા, કોર્પોરેટ કંપનીઓ જેવી બ્રાન્ચીઝ. એમના પી.આર. મેનેજર. એની પેઇડ સેલ્સફોર્સ. સમર્પણની ભક્તિમાં કોની શક્તિ વઘુ, એના અભિમાનની હુંસાતૂંસી.

ધર્મ ભારતની સૌથી મોટી મલ્ટીનેશનલ કંપની છે. એમાં સેંકડો હ્યુમન બ્રાન્ડ છે, જેમાંની કેટલીયે પ્રોડક્ટ અંદરથી પોલી અને બોદી છે, પણ કસ્ટમર કષ્ટ ઉઠાવીને મરી મરીને, મારી મારીને કંપનીઓ અને એના શાહસોદાગરોને જીવતા રાખે છે. કારણ કે, એનો ડર આ બિઝનેસ ચલાવે છે. ભલભલા કહી ગયા છે, ધાર્મિકતા ભારતની સઘળી સમસ્યાઓનું મૂળ છે. સ્વામી વિવેકાનંદથી સ્વામી સચ્ચિદાનંદ આવશે ને જશે, પણ ફોલ્ટલાઇન સંધાશે નહિ, ત્યાં સુધી ભૂકંપના આંચકા આવતા રહેશે એટલે પ્રજા સુધરશે નહિ. દુનિયામાં સૌથી વધારે અવતારો અહીં આવીને થાકી ગયા છે.

યુરોપમાં આવા અંધકાર સામે નવજાગરણ (રેનેસાં) થયું. ભારતમાં થોડાંક ટમટમિયાંઓ અંધારાની ફૂંકથી ઓલવાઇ ગયા. કારણ કે, અહીં પબ્લિક નથી. બીકણ ઘેટાંનું  ટોળું છે. પાછું લુચ્ચું અને લાલચુ ટોળું. જેને કર્મની સિદ્ધિમાં રસ નથી. જ્ઞાનની બુદ્ધિમાં રસ નથી. ભક્તિની શુદ્ધિમાં રસ નથી. રસ છે, તો બસ કેવળ રિદ્ધિ (ધન) અને પ્રસિદ્ધિ (કીર્તિ) કમાવતી શોર્ટકટ વિધિઓમાં! આવી ઈગોઇસ્ટિક નેરોમાઇન્ડેડ સોસાયટી સામે કોઇ શૈક્ષણિક વિદ્વાનો કે સામાજિક આગેવાનો રેનેસાં નથી લઇ આવતા, ત્યારે એ કોશિશ આપણી ફિલ્મો, કેટલાક સમજુ કળા-સાહિત્યના મરમી કસબીઓ કરે છે, કુંભકર્ણના કાનમાં નગારે દાંડી પીટવાની. શેખચલ્લીને બાવડું પકડીને બેઠો કરવાની.

અને  ફિલ્મ પૂરી થયા પછી થિએટરમાં ઊભા થઇને તાળી પાડવાનું મન થાય એવી એક ફીઅરલેસ ફિલ્મ આવી જ શાંત ક્રાંતિની ઝળહળ મશાલ થઇને આવી છે. OMG ઉર્ફે “ઓહ માય ગોડ!” આનંદની વાત એ છે કે એની ટીમ ગુજરાતી છે. કો-પ્રોડ્યુસર પરેશ રાવલ, ડાયરેકટર ઉમેશ શુકલ, સહલેખક ભાવેશ માંડલિયા, સંગીતકાર હિમેશ રેશમિયા. એ મૂળ સુખ્યાત ગુજરાતી નાટક ‘કાનજી વિરૂદ્ધ કાનજી’નું બેહતર ફિલ્મી રૂપાંતર છે જે ઓસ્ટ્રેલિયન ફિલ્મ ‘મેન હુ સ્યૂડ ધ ગોડ’ પરથી પ્રેરિત છે. પણ ફક્ત ભગવાન પર કેસનો કોનસેપ્ટ જ. બાકી જોતાવેંત ખબર પડે કે ફિલ્મની ગૂંથણી સ્વદેશી પીડાથી કેવી લથબથ ઓરિજીનલ છે! અને છતાં ય ફિલ્મની ક્રેડિટમાં એ સોર્સનો ય પ્રામાણિક ઉલ્લેખ પણ છે. ગણપતિ-નવરાત્રિના મંડળોમાં કે આશ્રમોમાં સીધી જ ફિલ્મી ઘૂનો પર ચોરી કરીને ભજનનો ઢાળ બેસાડવો (પછી પાછા ‘પાપી’ ફિલ્મવાળાઓને વખોડવા) જેવો ધાર્મિક દંભ અહીં નથી!

ઓહ માય ગોડ સિનેમા નથી. આત્માના અભયની સાધના છે.

* * *

રીડરબિરાદર, આ લખવૈયાએ અગાઉ કહેલું કે આખા ભારતે વેન્સ્ડે ફિલ્મ જોવી, લગે રહો મુન્નાભાઇ સહુએ ફરજીયાત જોવી, એમ ઘરનું ગાડીભાડું અને ટિકિટના પૈસા ખર્ચીને જોઇને આ લેખકડો આપને હાથ જોડીને, પગે પડીને, પ્લીઇઇઝ કહીને વીનવે છે કે આ દેશનું, આપણા સહુનું ભલું ઈચ્છતા હો તો આ ‘ઓહ માય ગોડ’ સપરિવાર જોવા જાવ. બીજાને ય બતાવો. ટિકિટ ના પોસાય તો ઉપવાસ માની એક ટંક ખાઇને પણ જાવ.

આપણે આવા અવાજમાં પડઘો પૂરીને આ ક્રાંતિનો ગરબો ઝીલીશું નહીં, ને ઘેર બેઠાં ચોરાઉ ડીવીડીમાં જોઇ લેશું તો બીજી વાર હિંમત કરીને કોણ આવી ફિલ્મો બનાવશે? પૈસા મફત નથી આવતા, એ પરસેવાની કમાણીની ટિકિટ ખર્ચી ફિલ્મો જોઇ છે, એટલે ખબર છે.  એટલે જ કોઇ ધર્મસ્થાનકની પેટી કરતા આ ફિલ્મની ટિકિટબારીએ પૈસા સન્માર્ગે ખર્ચાશે, તો ઉપરવાળો વઘુ રાજી થશે, એવું ‘કાન’માં કહી ગયો છે, કોઇ  ‘ઘ્યાન’ વગર! ભગવાન એમ તો આપણો ભેરૂ ખરો ને, એ થોડો ભયમાં છે? એ તો ભાવમાં છે!

પણ આપણે ભગવાન જાતે માનવતાવાદી સત્કર્મો કરી કે હ્રદયથી તપ કરીને નહિ, પણ એના કમિશન એજન્ટોને ત્યાં મગજ , શરીર અને બેંક બેલેન્સ  ગીરવે મૂકીને ઝટ ઇન્સ્ટન્ટ મેળવી લેવો છે !  ધર્મસ્થાનકો કે શાસ્ત્રો પર કુંડળી જમાવી બેસી ગયેલા અને ચેનલો પર છવાઈ જવાનો ચમત્કાર કરતા સંસારી કરતા વૈભવી પૂજારીઓની આંગળી ઝાલવા પાગલ દોટ મુકવી છે ! રામકૃષ્ણ પરમહંસ કહેતા એમ બીજાના તારના તાંતણે કરોળિયો ઉપર ન ચડે. એમના શિષ્યો ય આ વાત સાંભળી નહિ. આસ્થા એકલયાત્રા છે. એમાં માર્ગદર્શક હોય, મિડલમેન નહિ!

‘ઓહ માય ગોડ’ કોઇ કળાત્મક ફિલ્મ (શક્યતા હોવા છતાં) બનાવાઇ નથી, અને નેરેટિવ લાઉડ, ક્લીઅર, ટુ ધ પોઈન્ટ અને છેલ્લે એક સાહિત્યિક સ્પર્શ છતાં સાવ સિમ્પલ રખાયું છે, એ બરાબર છે. કારણ કે, આ ફિલ્મ ક્રિટિક્સ કે એવોર્ડસ સુધી નહિ, ભારતની આમજનતાના અંધશ્રઘ્ધાળુ દિમાગ સુધી આસાનીથી પહોંચે એ જરૂરી છે. એ પ્રોફેસર અને ઓફિસરની સમજમાં થોડીક સ્થૂળ લાગશે તો ચાલશે, પણ બૂટપોલિશ અને સાયકલપંચરવાળાઓને ય સમજાય એ જરૂરી છે. આપણી ભક્તાણી મમ્મીઓની આંખે દેવદર્શન સિવાય આ ફિલ્મદર્શનના ચશ્મા ચડે એ આવશ્યક છે.

માઇન્ડ વેલ, એક નાસ્તિક નાયક હોવા છતાં આ ઈશ્વરવિરોધી ફિલ્મ નથી. ઉલટું, ખુદ ઈશ્વર જેના પ્રેમમાં પડે એવી, શામળશાના લાડકા નરસિંહ મહેતાની ભાષામાં ‘એ સહુ પ્રપંચ પેટ ભરવા તણા’ કરનારાઓની સામે જેનો આત્મા તત્વ ચીન્યો છે, એવી સાચી શ્રદ્ધા / સાધનાનો મહિમા કરતી ફિલ્મ છે.

એન્ટરટેઇનમેન્ટના નામે સડેલી શેરડીના સુકાયેલા સાંઠા જેવી કે વાસી શેકેલા મકાઇ ડોડાના બળેલા છોતરાં જેવી રદ્દી ફિલ્મો આપણા મગજના કોષોને ઉપયોગ વિના પૂંછડીની માફક ઘસી નાખે તેમ છે, ત્યારે આ એક બ્રેવ ફિલ્મ છે, જે વિચારવા મજબૂર કરે છે. સાચા ધર્મ સામે નહિ, પણ ધરમના બેશરમ દલાલો સામે દિલ ખોલીને મજબૂત દલીલો કરે છે. અહીં પરાણે ધૂસાડેલો રોમેન્ટિક ટ્રેક નથી. પણ ગાડી પહેલા જ સીનથી ટ્રેક પર ઉતરે નહિ એવી જડબેસલાક નોન-ટિપિકલ સ્ટોરી છે.

જરાક, પરેશ રાવલે જીવ રેડીને પ્રસ્તુત કરેલા ફિલ્મના પિનાક ત્રિશૂળની ધાર અને પાંચજન્ય શંખની ગૂંજ ધરાવતા સંવાદોનું સેમ્પલ જુઓ. ‘યે મુજે ક્યા ગીતા સીખાયેંગે, ઈન કા આઇક્યૂ તો રૂમ ટેમ્પરેચર સે ભી કમ હૈ!’…. ‘રિસેશનમેં તો ઉનકા ધંધા ડબલ હો જાતા હૈ’… ‘ધર્મ માણસને શું બનાવે છે?’, એનો કાનજીભાઇનો મનને ક્ષુબ્ધ કરી નાખતો જવાબ – “યા તો બેબસ બનાતા હૈ, યા ફિર આતંકવાદી! ” ચેનલો પર છવાતા ફટીચર ફિલોસોફર બાબા-બેબીઓની મની ટુ મોક્ષ ‘એક્સચેન્જ ઓફર’ સામે એમના દેખાવ પૂરતા થતા સામાજીક કાર્યોની નોંધ વખતે પરેશ રાવલ કહે છે:  “આ તો ગુટકા વેંચવાવાળાઓ કમાણીનો થોડો ભાગ કેન્સર હોસ્પિટલમાં નાખે એવું છે!” અને સૌથી મહત્વનો આપણે વારંવાર અનુભવેલો બ્રહ્માસ્ત્ર સરીખો મુદ્દો… લોકો પાસેથી ધર્મ નામનું રમકડું છીનવાઇ જાય, તો એનો ય લોકો ધર્મ બનાવી લે!

એ જ માર્કસ સાથે થયું, અને ચર્ચના જીસસ કરતાં સામ્યવાદીઓએ માર્કસની આંધળી ભક્તિ કરી. એ જ ખલીલ જીબ્રાન જેવા સૂફી સંદેશવાહકનું થયું. એ જ ‘સત્યના પ્રયોગો’માં ‘‘મારો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં એટલે હવેલીએ જવાનું વખતોવખત બને- હવેલીનો વૈભવ મને ન ગમ્યો… (ત્યાં ચાલતી) અનીતિની વાતો સાંભળતો, તેથી તેમના વિશે મન ઉદાસ થઇ ગયું. ત્યાંથી મને કંઇ જ ન મળ્યું’’  જેવી રોકડી કબૂલાતનું સાહસ કરતા અને સત્યને જ ઈશ્વર માનતા ગાંધી કે નાના પાયે આંબેડકર સાથે થયું. એ જ બુદ્ધ – મહાવીર સાથે પણ બન્યું. ઈશ્વરની નહિ તો તીર્થંકરની પૂજા, ‘આત્મ દીપો ભવ’ નહિ, ‘બુદ્ધમ શરણમ ગચ્છામિ’! એ જ ગાલિબ કે રૂમી સાથે થયું. એ જ ‘‘તમે નિયમોના દંભી શિક્ષકો, તમે તો સફેદ કબર જેવા છો, જે બહારથી સુંદર દેખાય છે પણ અંદર મડદાંના હાડકા ને ગંદકી લઇને બેઠી છે’’ (બાઇબલ, ગોસ્પેલ ઓફ મેથ્યુ, પ્રકરણ ૨૩, પેરા ૨૭) કહેનારા ક્રાંતિકારી ઈસુને ક્રોસ પર ચડાવી દેવાયા, પછી એની સાથે પણ થયું ! એ જ તેજસ્વી મેધાવી રજનીશ સાથે થયું! એ જ લાઇફને લવ, એન્ડ લાફટર, બ્રેઇન એન્ડ બ્રેવરીથી જીવવાનું કહેતા કૃષ્ણ સાથે ય થયું! અખેદાસ કહી જ ગયા છે ને…ઉંડો કૂવો ને ફાટી બોખ, શીખ્યું – સાંભળ્યું સર્વે ફોક!

આપણે વચેટિયાઓ પાસેથી ગીતા, કુરાન, બાઇબલ વગેરેની વાતો બહુ સાંભળીએ છીએ, પણ જાતે એ વાંચી, આપણી અંદરના પ્રભુ સાથે સંવાદ કરી, આજના સંદર્ભે એને ગાળી ચાળી, ભગવાને જ લાવેલા પરિવર્તન સાથે જુનવાણી ઉપદેશ કે રૂઢિઓને મોડર્ન માઈન્ડથી અપડેટ કરીને એ મુજબ જીવતા નથી. કોઇ ‘ખુદા કે લિયે’, ‘દા વિન્ચી  કોડ’ કે ‘ઓહ માય ગોડ’ ચીંટિયો ભરી આપણી અંદર આપણી આસપાસ દેખાતા ઈશ્વરનો સાચો અહેસાસ કરાવે ત્યારે જાગીએ છીએ! ક્રેઝીક્રિટીક ટોળાઓને ધર્મનું આવું શુદ્ધિકરણ તાલિબાની ફેનેટિઝમના નકલની જેમ કઠે છે!

સોરી. ભારતીય હિન્દુ ધર્મની એ જ તો વિશેષતા છે કે એ કટ્ટરવાદી નથી, સુધારાવાદી છે. કોઇ ધર્મગ્રંથ એમાં આખરી નથી, તે જેટલા છે એ ય ક્વેશ્ચન – એન્સર, ડિબેટના ફોર્મેટમાં છે. અર્જુન પ્રશ્નો પૂછતા ખચકાતો નથી, એટલે જ અનેક પત્ની હોવા છતાં કે આક્રમક યોદ્ધા હોવા છતાં (સંસારભાગેડુ ન હોવા છતાં) ગીતા સાંભળવાનો અધિકારી ભક્ત સખો છે! સવાલો પૂછવાની અહીં સત્તા છે, ડાર્વિન – ગેલેલિયો જેવી સજા નથી! અલબત્ત, ફિલ્મમાં તો દરેક ધર્મના ઢોંગ-ઘૂતારા સામે પડકાર અને તમામ પાખંડનો માનવતાના નાતે પર્દાફાશ છે.

પરેશ રાવલનું વન મેન આર્મી જેવું પરફોર્મન્સ જોઇને થાય કે ઈશ્વર આપણામાં હોય જ, નહિ તો આવો ટકાટક અભિનય માણસથી કેમ થાય? અક્ષય તે ગાંઠના પૈસા રોકીને ખરા અર્થમાં ફિલ્મનો સારથી કનૈયો બન્યો છે. એન્ડ સરપ્રાઇઝ પેકેટ તો માસ્ટર મિથુનદા છે, જેનું ધમાકેદાર પરફોર્મન્સ જોયા પછી ધરમના ધંધામાં આખી જિંદગી ઈન્વેસ્ટ કરનાર પ્રજા માટે અફસોસ ને આક્રોશ જાગે! આ ધર્મમાં પૈસા વેડફવામાં “ધનિક” દેશ, વિચાર અને સામાજીક ક્રાંતિમાં કેવો “ગરીબ” છે!

ઓહ માય ગોડ જોવા જ નહિ, જીવવા જેવી ફિલ્મ છે! જાણે હરિવંશરાય બચ્ચનની ‘મઘુશાલા’ પીને આવી ફિલ્મનો નશો ચડાવનાર એની  ટીમને રમેશ પારેખના શબ્દોમાં કહેવાનું –

ફુટવાની બીકના ભમ્મરિયા ગામમાં,

કાચના મકાન, તને ખમ્મા…

મારા કાચના મકાન તને ખમ્મા…


ઝિંગ થિંગ

ફિલ્મના મને સૌથી વધુ ગમેલા ગીતની એક ઝલક….

અને પ્રિય મૃગેશ શાહે એમની જ રીડગુજરાતી .કોમ પર લખેલો ફિલ્મ જોઈ આવેલા દરેકે ખાસ વાંચવા -સમજવા જેવો શબ્દોમાં સરળ પણ અર્થમાં ઊંડો એવો સુંદર લેખ  વાંચો નીચે ક્લિક કરીને  (spoiler alert!)

http://www.readgujarati.com/2012/10/01/omg-oh-my-god/

 
52 Comments

Posted by on October 4, 2012 in cinema, gujarat, heritage, india, religion, science

 

52 responses to “અહં બ્રહ્માસ્મિ : ધરતી, અંબર, પરબત, સાગર, મૈં જીત દેખું ઉસકો પાઉં… ફિર મૈં કાહે મંદિર જાઉં?

  1. Hitesh Vyas

    October 4, 2012 at 6:59 AM

    જય ભાઈ સમાજને જાગૃત કરવાની તમારી ભાવનાની અનુભૂતિ થાય છે, તમારી વેદના પણ સમજાય છે. મેં “ઓહ માય ગોડ” મુવી અહી Australia માં જોયું, ઘણા લોકો હતા, ૩-૪ Aussie – Asian પણ હતા, બહાર નીકળ્યો ત્યારે લાગ્યું કે બધાને ખુબ ગમી હતી, એક બહેન નો અવાજ સંભળાતો હતો કે “…… સંપ્રદાયની તો વાટ લાગી જાય”

    Like

     
    • sumil

      October 5, 2012 at 4:11 PM

      whr r u how r u? my frnd want jayeshbhai aus no.

      Like

       
  2. Mita

    October 4, 2012 at 8:33 AM

    Very good article ,but u know what Sir, here everybody wants to see what they want , read what they wAnt and even after reading/watching mean what they want .. People ate do stuburn for their belief !! My personal experience after a debate about a very educated person I know who Is still not
    convinced ! Even after watching 😦

    Like

     
    • Mita

      October 4, 2012 at 8:35 AM

      I mean debate with *

      Like

       
  3. Jayesh Sanghani (New York, USA)

    October 4, 2012 at 9:08 AM

    જયભાઈ, OMG ફિલ્મ જોઈ, Times Square પર એક મલ્ટીપ્લેક્ષ માં આત્યારે ચાલી રહી છે. તમારો લેખ વાંચેલો એટલે ખાસ યાદ રાખીને, તમારી જેમ એકલા જ જોઈ કારણ કે ઘણીવાર કંપની ની રાહ જોવામાં સારી ફિલ્મ મિસ થઈ જાય છે. અહિં ન્યુયોર્કમાં એક અઠવાડીયાથી વધુ ફિલ્મ ચાલતી નથી. અફલાતૂન ફિલ્મ છે, આખરે કોઈ માથાફરેલ માણસે હિમ્મત કરી -to call spade a spade. Congrats to Shri Paresh Raval and his team. મારો અંગત અનુભવ એ છે કે અમેરિકામાં જુની પૅઢીના (born & brought up in India) જે છે તેઓ “ધાર્મિક” ક્રિયાકાંડમાં વધુ માને છે, ધાર્મિક ભિરુતા વધારે જોવા મળે છે. માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે તે વાત ભુલાઈ ગઈ છે. એક એકથી ચડિયાતા મંદિરો બનાવવાની હોડ ચાલી છે, કોઈ અબજોપતિના લગ્ન સંભારંભમાં પણ ન હોય તેવો ઠાઠ અને જલસો મંદિરોમાં થાય છે, અનાજનો બેફામ બગાડ થાય છે. I fail to understand how one can be religious and still be insensitive to fellow human beings who are less fortunate. This is beyond my comprehension. આશા રાખીએ કે ભાવશૂન્ય સમાજને વિજળીનો શોક આપવાનુ કામ આ ફિલ્મ કરે.

    Like

     
  4. Hiren

    October 4, 2012 at 9:55 AM

    Dear J v. Jyar thi hu samajano thayo tyar thi hu je vicharto ane aspas ni paristhiti joi ne dukh pamto a ja badhu movie ma 6,loko kyare samajse k sai baba ne malva shirdi pagpada javani k line ma ubha revani jarur nathi a ne badle etlo ja samay samaj seva ma apo,ganpati bapa k dasa ma ni murti nadi ma padharavi ketlu pollution felay 6, jetlu lakho etlu ochhu,salute to paresh raval

    Like

     
  5. Govind Maru

    October 4, 2012 at 10:20 AM

    ‘ઓહ માય ગોડ’ જોવા જ નહીં, જીવવા જેવી ફીલ્મ છે !!! ધન્યવાદ… જયભાઈ.

    Like

     
  6. ચેતન ઠકરાર

    October 4, 2012 at 11:18 AM

    Reblogged this on crthakrar.

    Like

     
  7. નિરવ ની નજરે . . !

    October 4, 2012 at 11:35 AM

    1} Side-talk : આધાશીશી દરમ્યાન , જલેબીનો સારો એવો ખુરદો બોલાવતા હશો 😉 , { તબિયતનું ધ્યાન રાખો નહીતર , તબિયતથી લખી નહિ શકો 😦 }

    2} લગ્ન થઇ જશે પછી , એક મુવી પાછળ ૧૦૦૦ રૂ . ખર્ચવા નહિ મળે 😀

    Like

     
  8. GPJ

    October 4, 2012 at 12:15 PM

    “””ઘર સે મઝ્જીદ હૈ બહોત દુર ચલો યું કરલે, કીસી રોતે હુએ બચ્ચે કો હસાયા .જાયે.””” જેવી ભાવના હોય
    અને “””બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જયારે જ્યાં મળે ત્યાં બીજા ના વિચાર દે “”” જેવી માંગણી હોય
    તો આ મુવી / નાટક / લેખ નો સંદેશ કૈક પલ્લે પડે.

    Like

     
  9. GPJ

    October 4, 2012 at 12:17 PM

    न पुण्यं न पापं न सौख्य न दुःखं न मंत्रो न तीर्थ न वेदा न यज्ञाः ।
    अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ४ ॥
    મને પુણ્ય નથી, પાપ નથી, સુખ નથી, દુઃખ નથી. તેમ જ મારે મંત્ર, તીર્થ, વેદો કે યજ્ઞો (ની જરૂર) નથી. વળી હું ભોજન (ક્રિયા), ભોજ્ય (પદાર્થ) કે ભોક્તા (ક્રિયા કરનાર – ભોગવનાર) પણ નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.

    Like

     
  10. ashwin sonani

    October 4, 2012 at 12:26 PM

    solid…………specially for those sophisticated beggars (once upon a time I was in the Q of a well known / established coorporate religious group, the fellow who was ahead me in the Q was requesting to reduce some amount to the SWAMI, yet SWAMI denied and said ‘give it to us now Beta, God already gave u and will give u more’…it was an open EXTORSION and ppl were happily stood in the Q for their turn!)

    Like

     
  11. ashwin sonani

    October 4, 2012 at 12:27 PM

    spell error, pls read EXTORTION in the place of EXTORSION…

    Like

     
  12. Chintan Oza

    October 4, 2012 at 12:31 PM

    kale full day full work hovathi guj samachar online joyee notu shakayu ane aaje early morning mobile ma ‘planetjv’ ni post alert joyee ane savar padta gujarat samachar ma lekh vanchyo pan kharo(ahi pune ma shatdal guruvare ave chhe)..really sir, ekdum mast points share karya chhe..ghana frnds kta hoy chhe k JV movie review article ma atlu badhu lakhe chhe k movie jovani maja na rahe…bt as u said, amuk vastu share karya vagar na rahi shakay..aa movie mate sure avu j lage chhe..aa saturday ni tickets confirm thai chhe…jaldi joye j shanti thashe..!! 🙂

    Like

     
  13. Sarika Rathor

    October 4, 2012 at 12:36 PM

    Su vaat chhe !!!! pahela fb par pachhi blog ane newspaper par back to back review omg mate. Really liked the movie and ur interest in inspiring people to watch movie. But i & my friends also think that this movie is must watch for everyone. Keep it up…….

    Like

     
  14. AMIT

    October 4, 2012 at 12:48 PM

    Dear Jay I’ve posted following status on my FB account just after arived from Theater on 01/10/2012 Monday. And while i was reading “ANAVRUT”, i am surprised. I don’t want to Criticize you and your article for Two reason 1) Coz the movie itself. For such movie we don’t want mind fight and 2) I am very big fan of your Articles since my teen age. So some times i realised that what in my mind, reflects in your article. May be after reading artilces of you from long it happned that our thoughts synchronised in some where cosmic manner…………..

    Thank you for so sweet Article about OMG

    OMG is a great movie. If it is original it is for OSCAR. but v have to think beyond Awards. It is very nicely treated movie (it gives focus on Balaji Temple but it keep silence about visarjan of POP statues – it may be the festival of Gansesh is very famous in Mumbai). There may be argument about cleanliness in our temples ( there is part of MILK for Shivji but it mentioned that wastage to drainage – it is very true like Mirror – but our GOD places are very poor about cleanliness). Shri Krishna is a perfect character to tell us to come out from blind religiousness. Such movie will have more and more mouth publicity but after watching it all citizen can have debates about GOD, but still remember this film has a theme about blind religiousness not about GOD. Both views are very true in India: 1) Krishna : Me to kan kan me basa hua hu aur log to swarth ke liye exchange offer leke aate hai. Muje pane ke liye Temple me jane ki jaroorat nahi hai., 2) A Dharmguru : ye nasha to afin jaisa hai, log badme ghu fir kar vapas hamere ashram me hi aayenge.

    Must Watch it……………..learn Philosophy of character “KANJI”…
    Excellent work done by Paresh Raval & Akhsay……….and also Mithun.

    Like

     
  15. sid

    October 4, 2012 at 3:37 PM

    Atle jay vasavda tame shu iccho cho?koi dharam koi parmatma koi religion na followers hova joie k nai?koi sadhu/mahatma hova joie k nai?jain dharma na sadhu vishe tame shu jaano cho?tame pan koi sasti/ nuksankarak (i mean je dharm k sadhu ni vaat kari rahya cho te) vangi dhichi dhichi ne khai lidha pachi pet ma updela dard ne lidhe biji amuk paushtik vastu one pan n khavano dhandhero piti rahya hov avu lagi rahyu che…
    Tame jetlo balapo dharmpremio pratye kadhyo e ketla/kaya varg k dharm ne vishe kadhyo?i mean kadach tame pote jetlu joyu/janyu atlu j ne?
    Bija badha dharma ni k sadhu/mahatma ni mane nathi khabar pan hu mara jain dharma ni vaat karu to..
    Jivan nu sunder ghadtar karnaro che amaro dharma je mansai ni tame vaat karo cho k koi b dharma na jad anukaran karta vadhare mansai ne aatmik sukh jevo dharma palvo joie e badhu j sahaj pane jain dharma ma batavyu che..ha jain dharma pan eva apvad rup loko che je tamari manytata ma fit bese che pan eno matlab em nai k aakho varg j evoche…
    Hu koi dharma pratye jad manas dharavto 60 varsh no doso nathi hu 30 varsh no tamari jevo j taravariyo yuvan chu ane oh my god jevifilmo no virodhi pan nathi…pan tame je nagative chaap paadi rahya cho dharma bhrast samaj banavani pervi kari rahya cho te mane bilkul pasand na aavyu..vadhare bolai gayu hoy to “MICCHAMI DUKKADAM”

    Like

     
    • jay vasavada JV

      October 4, 2012 at 4:01 PM

      vadhare nahi khotu j bolya chho 🙂 samjya vina 😉

      Like

       
      • AMIT

        October 6, 2012 at 12:02 PM

        kon khotu bolya chhe……..

        Like

         
    • Nizil

      October 5, 2012 at 1:28 AM

      Hi, sid..
      Hu pan Jain chhu.. me tamari vaat vanchi pan hu sahmat nathi.. Jainism ma pan paar vagar na dushano chhe.. hu kalako sudhi maharaj sahabo jode beso chhu.. upashray ma lambi charcha o pan karichhe ane 6 varsh jain sanstha ma rahya pachhi aavu kahu chhu.. me taran kadhta utaval nahti kari.. ghanu vanchya ane vicharya pachhi mane avu lagyu chhe..

      Tu j kahe ke jarur karta vadhare derasaro nathi bandhata? tapascharya na naame sampati na dekhada nathi thata? darek dharmik babat na chadhava bolay etle garib ke paisa kharchi na shake eva loko nu shu? derasar may dudh ane chokha nathi vedfata? jaat jaat na poojano ane jaat jaat ni tapashcharyao ahi nathi? Mahavir e khud evu kidhu chhe ke koi sarvopari bhagvan nathi etle koi ni puja ni vaat j kyathi ave? Mahavir Nirishvarvadi (who dont believe in supreme god) hata.. Moksh ma gaya pachhi mahavir pan tamne kai madad na kari shake.. to pachhi pooja sheni? Jain bhugol/ane pruthvi gol nathi – ni vaato apda tya nathi? samajya vagar na pratikraman k samayik nathi- jema kai samjay nahi toy khali uth-bes loko kari ave chhe.. Mahavir e shu kidhu hatu e vanchsho to kabar padshe ke aapde manie chhiye e ane hakikat vachche aasman jamin no fark chhe..

      Ek vaat e pan ke shu samjine aapde dharm pasand karyo chhe ke je ghar ma janmya e ghar no? vaat lambi chhe.. pan Organised Religion chahe e koi pan hoy.. aa badi thi mukt nathi.. manav ne aazad banavva ne badle ene gulami vadhu aapi chhe.. Think about it.. Regards..

      Like

       
  16. kaushal sheth

    October 4, 2012 at 4:43 PM

    ) આ દેશનો માણસ રોડપતિ હશે તો સવારે હાથમાં ટબૂડીમાં દૂધ લઈને મહાદેવને રીઝવવા -મસકા લગાવવા અને ટબૂડી દૂધને બદલે ઘણા બધા કામો પતાવી આપવા અને ઘણી અપેક્ષાઓ પુરી કરવા નો સોદો કરવા દોડે છે,અને ઍનાથી તદ્દન ઉલ્ટુ કરોડપતિ માણસ ઍ જ જગ્યાઍ ,ઍ જ રીતે જતો હોય છે પરંતુ તે ભગવાન નો ઉપકાર માનવા,આભારવિધિ કરવા અને નવી પ્રાપોજ઼લ માટે જાય છે.
    કારણ કે આની પાછળ કાં તો ભાઈ કાઇ ખોટુ કરીને પૈસા બનાવ્યા નો અપરાધભાવ હોય અથવા તે ઍવૂ માનતો હોય છે કે પોતે કરોડપતિ થયો ઍમા ભગવાનનો જ હાથ હોય(પોતાની લાયકાત પર જ ભરોસો ના હોય),જાણે ખુદ કૃષ્ણકનૈયાલાલ અથવા બ્રહ્મા-વિષ્ણુ-મહેશ માંથી કોઈ ઍ બ્લૅંક ચેક મોકલ્યો હોય. તે બુધીયાને ઍ પણ ભાન નથી હોતુ કે આ બધુ ફક્ત તેના કર્મ ના આધારે જ નક્કી થતું હોય છે,આ જન્મ ના અથવા જો માનતા હોય તો પૂર્વજન્મ

    Like

     
  17. Dharmesh Joshi

    October 4, 2012 at 4:46 PM

    Jay Bhai…Have srill not wathced it but will definitely see it between i would recommend you watch movie “DHARMA” . Story of Brahmin accidently rasing small boy who happens to be a son of Muslim. Acted brilliantly by Pankaj Kapoor.

    Like

     
  18. Atul Jani (Agantuk)

    October 4, 2012 at 7:18 PM

    દરેક લેખની જેમ આફરીન પોકારી જવાય તેવો લેખ.

    (મોરારિબાપુ જેવા તો ધનનો કળા-સાહિત્ય-સંવેદનાને વેગ આપવા છુટ્ટે હાથે ઉપયોગ કરી ‘બાવાડમ’નો ઉઘાડો વિરોધ પણ કરે છે. )

    બાપુને તો તમારે ઘણીએ વખત પ્રસંગોપાત મળવાનું થતું હોય. ક્યારેક પુછજોને કે હનુમાનજીની મુર્તી સોનાની બનાવી તેના બદલે થોડો શિક્ષણ-કળા-સાહિત્ય-સંવેદનાને વધારે વેગ આપ્યો હોત તો?

    Like

     
    • jay vasavada JV

      October 4, 2012 at 10:46 PM

      બંધુ મારી ટેલન્ટ પર થતી કમાણીમાંથી હું સોનાની ચેઈન અને વીંટી પહેરું છું, તમને વાંધો ઉઠાવવાનો હક ખરો એમાં ? 🙂

      Like

       
      • Atul Jani (Agantuk)

        October 5, 2012 at 8:58 AM

        મને વાંધો બિલકુલ નથી 🙂

        બાવા, સાધુઓ, ધર્મગુરુઓ, મુલ્લાઓ, મૌલવીઓ, પાદરીઓ, સંતો, મહંતો આ બધાં લોકોને ઉલ્લુ બનાવવાની ટેલન્ટ પર જ તો તેમનો ધમધોકાર ધંધો કરે છે. અને તે દર્શાવવા તો OMG બન્યું.

        Like

         
        • AMIT

          October 6, 2012 at 12:20 PM

          લોકોને ઉલ્લુ બનાવીને એમના પૈસા ખોટી રીતે પડાવી કોઈ સુખી થયુ છે મિત્ર. લોકો પાસે ઉલ્લુ બનાવવાની ટેલેંટ છે તો સામાન્ય પ્રજામાં પણ ઉલ્લુ બનવાની ટેલેંટ છે………..શુ કહેવુ છે મિત્રો. જીવનની શતરંજ મા વજીરો અને રાજાઓ પેંદાઓનો ઉપયોગ તો કરવાના જ પણ પેંદા જ ઉપયોગ થવા માટે નિર્માયા હોય તો………..

          Like

           
      • Ankit

        October 5, 2012 at 2:49 PM

        aim t[i ai m*v) mi pN a[v& j kEk ht& n[!
        bribr C[, aim[y (vr[iF a(hyi aijkil l[iki[n[ ull& bnivti j[ nvinvi bibi {(nm<lbibi  } p[di થyi kr[ C[ t[[ vit n[i C[.
        an[ hi, Bgvin aipn) liykit p\miN[ bF& aipS[ j! a[n) pis[ mig-mig ni krvin& hi[y a[ vit ti[ a[kdm j sic) C[.

        Like

         
      • Nikunj

        October 16, 2012 at 6:52 AM

        બંધુ…ધરમ ના નામે જો ખોટા ખર્ચાઓ થાય તો તે ખોટા જ છે, તે નહિ જ ચલાવી લેવાના. શિવ લિંગ પર દૂધ ચઢાવા કરતા કોઈ ભૂખ્યા ને આપવું તે પણ એટલુ જ સાચું…..પણ બોલીવૂડ માં અને ટીવી સીરીઅલ્સ ના નામે છાશ વારે અવોર્ડસ ના કાર્યક્રમો થયા કરે છે.તેની માટે કરોડો નો ધુમાડો થાય છે. નવરાત્રી ના મજા ના નામે પર કેટલાય રૂપિયા ખર્ચાય છે. કેટલીય વીજળી કામ વગર બળે છે. તેનો ઉપયોગ પણ જરૂરીયત મંદો માટે થઇ શકે.
        શું તેમાય પણ પોતાની ટેલન્ટ પર થતી કમાણી ની વાત કરશો???

        Like

         
    • AMIT

      October 6, 2012 at 12:15 PM

      કેમ બધા ધર્મ, સંમ્પ્રદાયો,જ્ઞાતિ ના કહેવાતા અગ્રણીઓ શિક્ષણ-કળા-સાહિત્ય-સંવેદનાને વધારે વેગ આપતા નથી. કદાચ એવુ બને કે માણસોનો સુપીરીયર કોમ્લેક્ષ ઘવાતો હશે. જો બધા બધુ જાણતા થઈ જાય તો આ બધા અગ્રણીઓ અગ્રણી કેવી રીતે કહેવાશે. આ તો એના જેવુ કે છઠ્ઠુ પગાર પંચ આવ્યુ અને સરકારી કર્મચારીઓના પગાર વધ્યા તો બિલ્ડરોએ મકાન કે ફ્લેટ કે બંગલાઓના પણ ભાવ ઘણા વધાર્યા જેથી અમીર અમીર જ રહે અને નાનો માણસ પગાર વધ્યા હોવા છતા ઘર વગરનો ગરીબ રહે.

      Like

       
    • Utkarsh Shah

      October 7, 2012 at 7:33 PM

      શું ભારતમાં એવા મંદિરો નથી કે જેની રચના જનતાના વ્યસન અથવા તેવી જ બીજી બદીઓત્યાગ કરીને બચાવેલા રૂપિયામાંથી થઇ હોય?
      છે… ઘણા છે…..

      પણ અહી લેખમાં વાત કરી છે તેવા પત્થરના ઢગલા અને સાચા મંદિર/મસ્જીદ/ચર્ચ વચે ફરક સમજવો રહ્યો!!!!!!!!!!

      પણ એક પ્રશ્ન વારે વારે થાય છે….

      જેન ઓહ માય ગોડ જેવું સરસ પિક્ચર હિંદુ દેવ/દેવી કે મંદિર ના નામ થી બન્યું છે તેવું જ સુ કોઈ મુસલમાન કે ખ્રિસ્તી ધર્મ ના નામ પર બનવાની હિંમત કોઈ કરશે….

      હિંમત ની વાત તો જવાદો…અમેરિકા માં બનેલી મોહમ્મદ ની ફિલમ વિશે કોઈ આવો લેખ લખી સક્સે…..

      Like

       
      • Atul Jani (Agantuk)

        October 7, 2012 at 8:06 PM

        કટ્ટરતા એટલે વિચારવા ઉપર પ્રતિબંધ. હિંદુઓ નસીબદાર છે કે તેઓ કટ્ટર નથી અને એટલે જ હિંદુ ધર્મ મુર્તિપુજા જેવા સાવ પ્રાથમિક વિચારથી લઈને અહં બ્રહ્માસ્મિ સુધી વિસ્તરી શક્યો છે. જ્યાં જ્યાં કટ્ટરતા અને ધર્મને નામે ઝગડાઓ થયા છે ત્યા વિચારવાનું અને વિકસવાનું બંધ થઈ જાય છે. હિંદુ ધર્મ પણ કટ્ટરતામાંથી પસાર થયો છે. પુરોહિતોના અમર્યાદિત હકોએ લોકોને કચડી નાખ્યા હતા. શુદ્રો પરના અત્યાચાર, વિધવા પુનર્વિવાહની મનાઈ, સતીપ્રથા અને એવા અનેક દુષણોમાંથી હિંદુ ધર્મ પસાર થઈ ચુક્યો છે અને હિંદુ ધર્મમાંથી જ જ્યારે તેનો વિરોધ થયો ત્યારે હિંદુઓ તેમાંથી બહાર આવી શક્યાં છે.

        ઈસ્લામ અને ઈસાઈઓમાંથી જ જ્યારે સુધારકો પેદા થશે ત્યારે તેમનામાં પરિવર્તન આવશે.

        Like

         
  19. Padariya Nitin

    October 4, 2012 at 8:48 PM

    Super Like Jaybhai……..

    Like

     
  20. urja rana

    October 5, 2012 at 12:33 AM

    jay bhai ek saval…….
    raaz 3 joya pa6i (due to obvious reasons) daravna sapna rate suwa deta nahta..
    loko dimag na ilaj ni salah apta…(m a hostelite)
    ewa ma mummy e ek reshmi dhago hath par bandhi kahyu now kai nai thay,(of course OMG joya pahela)
    and badhu saras pan thai gayu to ema kai khoti wat????

    Like

     
  21. Vishal Rathod

    October 5, 2012 at 1:05 AM

    yes agree with you !!
    i ll also say jst as my belief too,,,
    we have to pray him without any exchange offer 😛
    when i saw the movie what come first in my mind was COFFEE WITH KRISHNA !
    thought may be your article inspired the director to make this film 🙂

    LOG MERE HAR STUNT KO CHAMATKAR HI KEHATE HAIN

    MAIN WAISE BHI APNA HAR PROJECT PURA KARKE WAHA SE CHALA HI JAATA HOON…

    HUMARA KAAM SIRF RAASTA DIKHANA HAIN, MANZIL TAK TO KHUD HI JAANA PADTA HAIN ( aama thodi aada-avali hoi shake, ekdum perfect yad nathi 😛 😀 )

    Like

     
  22. સુનીલ શાહ

    October 5, 2012 at 9:37 AM

    પ્રિય જયભાઈ…
    અદભૂત…! અભિનંદન.
    તમારી હિંમતને સલામ.
    ‘જય હો !’

    Like

     
    • Utkarsh Shah

      October 8, 2012 at 6:25 AM

      જયભાઈ ની હિંમતને તો સલામ છે જ ……પણ તેનાથી વધારે…હજ્જારો સલામો કરવાનું મન થાય કે જયારે મોહમ્મદના ની કથા પર બનેલી અને ખુબ જ વિરોધનું કારણ બનેલી અમેરીકાન ફિલ્મ પર પણ આવો જોરદાર લેખ વાંચવા મળે…..જયભાઈ શું આવો લેખ મુસ્લિમ ધર્મ/પરંપરા પર પણ વાંચવાનો મળી શકશે?????????

      Like

       
  23. becruiser

    October 5, 2012 at 11:41 AM

    JV ..listen this Sahir Ludhiani written song sung by rafi …

    Not very close to topic but this sahir ludhiani writtem song has simillar type of meanings where he argues against problems of system.

    ye raat bahut rangeen sahi
    ye raat bahut rangeen sahi
    is raat mein gham ka zehar bhi hai
    naghmon ki khanak mein doobi huyee
    fariyaad o ki lehar bhi hai
    ye raat bahut rangeen sahi

    tum raks (dance) karo main sher padhoon
    matlab to hai kuchh khairaat (donation) miley

    is kaum ke bachchon ki khaatir
    kuchh sikkon ki saugaat miley

    sikke to karodon dhal dhal kar
    taksaal se baahar aate hain

    kin gharon (caves) mein kho jaate hain
    kin pardon mein chhup jaate hain

    ye zulm nahin to kya hai
    paise se to kaale dhandhe hon
    aur mulk ki waaris naslon ki
    taaleem ki khaatir chande hon
    ab kaam nahin chal sakne ka
    reham aur khairaat ke naare se

    is desh ke bachche anpadh hain
    daulat ke galat bantwaare se
    badle ye nizaam e zardaari (administration)
    badle ye nizaam e zardaari

    keh do ye siyaasatdaanon se
    ye masla hal hone ka nahin
    kaaghaz pe chhape ailaaon se
    ye masla hal hone ka nahin
    kaaghaz pe chhape ailaaon se

    Like

     
  24. ajay thakkar

    October 5, 2012 at 4:12 PM

    ekdam sachu chhe jv, hamana hu bhagvanshri ne Tao sutra upar buolta sambhlu chhu tem aaj vat kahi chhe.

    Like

     
  25. Sharad Shah

    October 5, 2012 at 5:56 PM

    પ્રિય જય;
    પ્રેમ.
    સતત ચોવિસ કલાક ટેલિવિઝન પર જાતજાતની અંધશ્રધ્ધાને પ્રોત્સાહિત કરતી સિરીયલો, જાહેરાતો, સમાચારો અને બીજું ઘણું બધું પિરસાતુ હોય છે. સમગ્ર ભારતના (અન્ય દેશોના પણ) અખબારો, મેગેઝિનો અને પુસ્તકો અંધશ્રધ્ધાને પોષવાનુ અને પ્રોત્સાહિત કરવાનુ કાર્ય કરે છે. રાજકારણિઓનો અને કહેવાતા સંતોનો વ્યવસાય જ લોકોની અંધશ્રધ્ધાપર ટકેલો છે.
    અનેક બુધ્ધો અને સંતોએ પોતાનુ જીવન અંધશ્રધ્ધામાંથી લોકોને બહાર લાવવા માટે નીછાવર કર્યું છે અને તે ગુના બદલ ફાંસી કે જેલવાસ ભોગવ્યો છે તેમ છતાં માણસજાતની અંધશ્રધ્ધામાં ઝાઝો ફરક નથી પડ્યો.
    આપને શું લાગે છે ત્રણ કલાકની ફિલ્મ લોકોને અંધશ્રધ્ધામાંથી મુક્ત કરી શકશે? એક બાજુ માણસને ચોવિસે કલાક ઝેર પીવડાવીએ અને પછી જીવાડવા માટે એક ડોઝ દવાનો આપીએ તેથી શું માણસ જીવી જવાનો છે?
    ગમે તેટલી ફિલ્મ સારી હશે તો પણ તે લોકોને ઘડીભર આનંદ આપ્યાથી વધુ સારા પરિણામો હાંસલ કરી શકવાની નથી. સંસ્કારોના મૂળીયા બહુ ઊંડા હોય છે.
    ખરેખર અંદ્ધ શ્રધ્ધામાંથી મુક્તિ માટે જરુર છે માણસને ચોવિસે કલાક અંધશ્રધ્ધાનુ ઝેર પીવડાવવાનુ બંધ થાય તે. જે શક્ય નથી કારણકે એ જો બંધ થાય તો કરોડો લોકો બેરોજગાર બની જાય. અને આટલા બધા માટે રોજગારી કેમ ઉભી કરી શકાય?
    અંધશ્રધ્ધા ચાલે છે એટલે પંડિત, પુરોહિત, જ્યોતિષિઓ, રાજકારણિઓનો કે પત્રકારોનો જ ધંધો ચાલે છે તેવું નથી તેમના ટીકાકારો અને વિરોધીઓનો ધંધો પણ અંધશ્રધ્ધાને કારણે જ ચાલે છે. ટીકાઓ કરીને પણ લક્ષ્યતો નાણા કમાવવાનુ જ હોય છે ને? આવા કેટલાય ટીકાકારોના મેગેઝિનો ચાલે છે અને તેનો વાચક વર્ગ પણ હોય છે જ.
    (મેં ફિલ્મ જોઈ નથી પણ ફિલ્મના અંતે આવું જ કાંઈક રજુ થયું છે તેવું સાભળ્યું છે.)
    શેષ શુભ.
    પ્રભુશ્રીના આશિષ.
    શરદ

    Like

     
    • AMIT

      October 6, 2012 at 12:53 PM

      શરદભાઈ,
      જે લોકો અંદ્ધશ્રધ્ધામાં ખૂંપી ગયા છે તેઓ તો આત્મ નિરીક્ષણ અને આત્મ ચિંતન વગર એમાંથી બહાર આવવાના નથી. આ ફિલ્મ જોઈને કદાચ કોઈ એક માણસ પણ અંદ્ધશ્રધ્ધામાંથી બહાર આવે તો પણ ફિલ્મનો હેતુ બર આવે. તમે કહ્યુ તેમ એક બાજુ માણસને ચોવિસે કલાક ઝેર પીવડાવીએ અને પછી જીવાડવા માટે એક ડોઝ દવાનો આપીએ તેથી શું માણસ જીવી જવાનો છે? પણ જો દવા કોન્સનટ્રેટેડ અને આયુર્વેદિક હોય તો તેની અસર પણ સારી થાય. અને ઝેર નુ મારણ પણ ઝેર જ હોય છે તેવુ સાંભળ્યુ છે અનુભવ્યુ નથી, પ્રયત્ન કરવો છે બોલો આપણે બધા ભેગા મળીને એક એવુ ઝેર શોધીએ જે આ ઝેરને મારી શકે. આપણે ક્રાંતિ લવવા કંઈ રસ્તાઓ પર નથી ઊતરી આવવાનું ફક્ત વિચારોને જ રસ્તો બતાવવાનો છે. આપણે “માસ” ને ન બદલી શકીએ કારણ કે ટોળાને કોઈ બુધ્ધિ હોતી નથી. શરૂઆત (અથવા અંત પણ) નાના પાયે કરીએ. ટોળા એક ધ્યેય અને દિશા સાથે આગળ વધતા હોય છે. {મહાત્મા ગાંધી એ જે ભારતીય પ્રજા [અહીં સમાજ લખવા જતો હતો જય ભાઈ સમજી જશે.] ને દિશા નિર્દેશ આપ્યો હતો તેનો ધ્યેય અંગ્રેજો હટાઓ હતો અને પ્રજા પણ એ ઇચ્છતી હતી (એ ઇચ્છા કાળક્રમે કદાચ જાગ્રૃત થઈ હશે – જો અંધશ્રધ્ધા નાબૂદી વિશે જો આવી ઇચ્છા કાળક્રમે જાગ્રૃત થાય તો આપણુ કામ આસાન બને.). પણ અંધશ્રધ્ધા નાબૂદી અને બીજી ઘણી બદીઓ વિશે પ્રજા એ વખતે જાગ્રૃત ન થઈ. [આમ પણ સામાન્ય માણસ માટે મલ્ટિટાસ્કિંગ કામ કરવા ખાવાના ખેલ નથી.]}. લોકોમાં વિચારોના બીજ રોપવાથી કામ આસાન થઈ જશે. આના માટે ફિલ્મના “કાનજી” જેવી આસ્તિકતા પણ રાખવી પડે. ક્રૃષ્ણ પોતે એક સામાન્ય માનવી હતા અને તે એક ઉમદા વ્યક્તિત્વ હતા જો એવુ વિચારી એમને અનુસરવા પ્રયત્ન કરીએતો………… જો હુ તેને ભગવાન માનીશ તો ક્યાંક કોઈ જગ્યાએ તેમને સમજવામાં થાપ ખઈ જઈશ..

      Like

       
      • Sharad Shah

        October 6, 2012 at 6:37 PM

        અમિતભાઈ; આપને એટલું સમજાય છે, “આપણે “માસ” ને ન બદલી શકીએ કારણ કે ટોળાને કોઈ બુધ્ધિ હોતી નથી. ” મારી સમજ મુજબ ” આપણે કોઈને બદલી શકતા નથી સિવાય આપણી જાતને” અને જો દરેક માણસ બીજાને બદલવા માટે જેટલો પ્ર્યત્નશીલ હોય છે તેનાથી ૧૦% જેટલો પણ પ્રયત્ન પોતાની જાતને બદલવા કરે તો કદાચ આ પૃથ્વી સ્વર્ગ બની જાય. કારણકે એટલું જ આપણા હાથમાં છે. વ્યક્તિઓ બદલાય છે સમાજો બદલાતા નથી.કારનકે સમાજનુ અસ્તિત્વ આભાષિ છે. શરદ.

        2012/10/6 planetJV

        > ** > AMIT commented: “શરદભાઈ, જે લોકો અંદ્ધશ્રધ્ધામાં ખૂંપી ગયા છે તેઓ તો > આત્મ નિરીક્ષણ અને આત્મ ચિંતન વગર એમાંથી બહાર” >

        Like

         
  26. Sharad Shah

    October 5, 2012 at 6:00 PM

    Dear Jay;
    I also wish you,” Happy Birthday” on 6th October. May peace and bliss shower on you for your remaining life.
    His Blessings;
    Sharad

    Like

     
  27. DHARMESH MAKWANA

    October 5, 2012 at 8:32 PM

    4 VARSH BAD FAMILY SHATHE JOYELU FILM, TRAILER JOY NAKKI KAREL KADACH AA FIML JOVI PADSE

    Like

     
  28. Sharad Shah

    October 6, 2012 at 6:28 PM

    અમિતભાઈ;
    આપને એટલું સમજાય છે, “આપણે “માસ” ને ન બદલી શકીએ કારણ કે ટોળાને કોઈ બુધ્ધિ હોતી નથી. ”
    મારી સમજ મુજબ ” આપણે કોઈને બદલી શકતા નથી સિવાય આપણી જાતને”
    અને જો દરેક માણસ બીજાને બદલવા માટે જેટલો પ્ર્યત્નશીલ હોય છે તેનાથી ૧૦% જેટલો પણ પ્રયત્ન પોતાની જાતને બદલવા કરે તો કદાચ આ પૃથ્વી સ્વર્ગ બની જાય. કારણકે એટલું જ આપણા હાથમાં છે. વ્યક્તિઓ બદલાય છે સમાજો બદલાતા નથી.કારનકે સમાજનુ અસ્તિત્વ આભાષિ છે.
    શરદ.

    Like

     
  29. janki

    October 6, 2012 at 10:45 PM

    as usual…best post…

    Like

     
  30. ASHISHDEVRE

    October 7, 2012 at 12:25 AM

    There is a very simple but effective line, in the movie, said by Om Puri,
    “Insaan ke liye Majhab hai, Majhab ke liye insaan nahi.”

    Well said.
    We can’t design laws and rules for every aspect of the life. We are very tiny for that and system is too much complicated.
    There religion comes. It tells people to follow some ethics even though legally there isn’t anything wrong in not following that. This makes our society systematic, peaceful and better place to live.
    That’s why religions are there. They are created by people and only for helping people. People should not make war and violence in the name of Religion.
    IF EACH AND EVERY ONE IN THE WORLD COMPLETELY FOLLOW A PARTICULAR RELIGION, THERE IS NO NEED OF ANY LAW IN OUR SOCIETY.

    Your article is, as usual,……….MIND-BLOWING.

    Like

     
  31. TANUJ PARIKH

    October 10, 2012 at 12:30 AM

    ફરીથી આ ફિલ્મમાં chemical લોચો કામ કરી ગયો !!! મુન્નાભાઈ MBBS માં ગાંધીજી ની કિતાબ વાંચ્યાં પછી અને OMG માં ગીતાસાર વાંચ્યાં પહેલા !!! કહેવાય છે કે દુનિયાની મોટા ભાગની શોધો દિવસો અને રાતો ના ઉજાગરા પછી કોઈ એક અણધારી રાતની સુંદર સવારે થઇ જતી હોય છે (દિમાગનો chemical લોચો જ તો વળી), તેવીજ રીતે ગઝલ પણ મધરાતે અથવા વહેલી સવારે સર્જાઈને સર્જકને અને આ દુનિયાના લોકોને જીવન જીવવાની રાહ ચિંધતા હોય છે, (જો interest હોય તો !!!) અને આમજ આ ફિલ્મી કસબીઓ આવી સુંદર ફિલ્મો બનાવીને salutable બની જતા હોય છે. ખબર નહિ કેમ, આ પૃથ્વીની દરેક વનસ્પતિ, ફળ કેવી રીતે બન્યું હશે, કોઈ alien નો ચમત્કાર સમજવો કે પરમની કૃપા? કેટલીક ફિલ્મો પણ એક વિચારથી ચાલુ થઈને Master Piece બનતી હોય છે. અને તમારા જેવા લખ્વૈયા અમારા જેવા રીડર્સને fuel પૂરું પાડતાં હોય છે !!!

    તમે એકવાર ટાંકેલી ‘શૂન્ય’ પાલનપુરી સાહેબની મનહર ઉધાસના મખમલી સ્વરે ગુંથાયેલી એક ગઝલનો મક્તા યાદ આવે છે:

    સ્વાર્થની આ તો છે ભક્તિલીલા બધી, આત્મપૂજા વિના ‘શૂન્ય’ આરો નથી,
    એક ઈશ્વરને માટે મમત કેટલો !!! એક શ્રદ્ધાને માટે ધરમ કેટલા?

    જે કંઈ છે તે આત્મશ્રધ્ધા જ છે, કોઈની વધારે, કોઈની ઓછી.

    ONLY PARANOID CAN SURVIVE !!!

    Like

     
  32. kavadhiren

    October 15, 2012 at 5:47 PM

    ખરેખર જયભાઇ સાચુ કહ્યુ……. અને ક્રિષ્ન ને ફોલો કરીએ પણ જ્યારે ક્રિષ્નએ જે કર્યુ એ કરીએ ત્યારે આ સમાજ તો એમજ કહે છે એ તો ભગવાન જ કરી શકે… આપણે નહિ…. જ્યારે પ્રેમ ની કે ક્રિષ્ને કરેલા છળકપટ ની વાત આવે ત્યારે તેના પર ઇશ્વર નામનો સીક્કો અને થપ્પો મારીને ચલાવી લેવામા આવે છે અને આપડે કરીએ ત્યારે કેરેક્ટર ઢીલા હૈ…. આ ક્યા સુધી વાજબી છે… જો આપડે જ ઇશ્વર હોઇએ તો આપડે મનફાવે એ કરી શકીએ… હા પછી એમા સારા નરસા નો વિવેક થોડા ઘણા અંશે જરુરી છે…

    અને વાત અહી ધર્મા અને ધંધા ની તો આ મુવી રીલીઝ થયા પછી હવે જે ફીલ્મો આવી રહી છે એના પ્રમોશન માટે બોલીવુડ ના એક્ટરો દર્ગા, ગુરુદ્વારા મા ચાદર ચડાવવા ની શરુઆત કરી ચુક્યા છે…….

    Like

     
  33. pratik tank

    October 17, 2012 at 1:26 PM

    સ્ટારવર્લ્ડ ચેનલ પર “Grey’s Anatomy” નામ ની એક સીરીઅલ આવે છે…આમ તો સીરીઅલ ” મેડીકલ લવસ્ટોરી ” છે….પણ એક એપિસોડ શ્રદ્ધા અંધશ્રદ્ધા ઉપર નો હતો…જેનો એક યાદગાર ડાયલોગ જણાવીશ જે મુખ્ય પાત્ર ગ્રે દ્વારા બોલાયેલો…” Superstitions lies between what we can control and what we can’t”

    Like

     
  34. Hiren Maheriya

    November 9, 2012 at 4:41 PM

    Hu to etlu j samjyo chhu ke a duniya ma kyarey badhu j saru thai shakvanu nathi. jo badha j loko sara thai jay to kyak koi prakar nu balance chokkas bagadi jay….(According to law of energy conversion) apde to bas yogya lage te paksh ni sathe madi ne ladai ladvani… !

    Like

     
  35. Rohan Rankja

    June 13, 2013 at 6:57 PM

    kharekhar adbhut vat kahi didhi sir tame. baki to bil gates laxmi ji ne odkhta nathi ane albert ienstine sarsvati ne nhota odkhta..to pn emni pase lakhlut sampati n sadio sudhi didha darsavtu gyan htu…

    Like

     
  36. karen millen red dress

    July 3, 2013 at 9:19 PM

    You need to try out a of the greatest Men and women from france
    beverage. Sandals develop a ‘barely there’ aesthetic and can very a lot go with everything.
    DC’s nightlife has actually absent to the canines, and that’s a good matter!
    Chief has to maintain very good and undesirable apples separated.

    Like

     

Leave a comment