આખું આયખું એવા કામમાં વીતાવવાનું ?- જે કરવું ગમતું ન હોય, પણ જેની જરૃર ન હોય એવી ચીજો ખરીદવા કરવું પડતું હોય !
—————
કયામત સે કયામત તક.
યાદ છે, હિન્દી સિનેમાની ફોર્મ્યુલા મસાલા ઢિશૂમ ઢિશૂમ ફિલ્મોથી તાસીર બદલાવી દેનારી આ ફિલ્મ? બ્લોકબસ્ટર હતી – ‘પાપા કહેતે હૈ બડા નામ કરેગા’ થી ‘અકેલે હૈ તો ક્યા ગમ હૈ’ વાળા ગીતો ધરાવતી આ રોમિયો-જુલિયેટ બ્રાન્ડ લવસ્ટોરી.
એ ફિલ્મનું દિગ્દર્શન કરેલું આમીરના કઝીન મન્સૂર ખાને. સગા કાકાનો યુવાન દીકરો. મન્સૂર ખાનના બાપ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર દાયકાઓ રાજ કરનારા દિગ્ગજોમાં એક નાસિર હુસેન. ‘તુમસા નહીં દેખા’થી ‘જબ પ્યાર કીસીસે હોતા હૈ’ બનાવનારા. ‘તીસરી મંઝિલ’ના પ્રોડયુસર. ‘યાદોં કી બારાત’ અને ‘હમ કિસીસે કમ નહીં’ના ડાયરેક્ટર. મન્સૂરને પૈસાની કમી હતી નહિ. અને અનલાઈક ફિલ્મી કિડ્સ, એ અમેરિકામાં કોર્નેલ યુનિ. અને પછી ટેકનોલોજીમાં અલ્ટીમેટ ગણાતી એમ.આઈ.ટી.માં સાયન્સ ભણેલો! દિગ્દર્શક તરીકે ભરજુવાનીમાં પહેલી જ ફિલ્મમાં કેટલાયની તકદીર બદલાવી નાખી : આમીર ખાન, જૂહી ચાવલા, આનંદ મિલિંદ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિાક, સિનેમેટોગ્રાફર કિરણ દેવહંસ વગેરે વગેરે.
પછી પણ સેન્સિબલ ફિલ્મ્સ બનાવી ‘જો જીતા વહી સિકંદર’, ‘અકેલે હમ અકેલે તુમ’, શાહરૃખ-ઐશ્વર્યાવાળી ‘જોશ’. ત્યારે ય સિક્કો ચલણી હતો. અને આજે તો હિન્દી ફિલ્મોમાં ટિકિટબારી પર સૌથી વધુ પૈસા ઉસેડી શકતો મેગાસ્ટાર કઝીન આમીર સાવ ઘરનો છે જ. અને પબ્લિક તો આજકાલ વોટ્સએપનું ગ્રુપ નથી છોડી શકતી! માલમિલકત તો દૂરની વાત છે. ફિલ્મસ્ટારોની ઝલક મેળવવા ધાર્મિક દર્શન જેવી ધક્કામુક્કી કરે છે.
પણ વર્ષો પહેલા મન્સૂર ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહિ, મુંબઈ શહેર પણ છોડી દીધું! આજે તો આમીરની જૂની ઓળખાણો વટાવવા લોકો કોમર્શિયલ ફાયદો જોઈને દોડી જાય, ત્યારે મન્સૂર વર્ષોથી તામિલનાડુના હિલ સ્ટેશન કૂનૂરમાં એના બેકગ્રાઉન્ડના પ્રમાણમાં નાનકડા રળિયામણા મકાનમાં પરિવાર સાથે રહે છે, અને ખેતી કરે છે!
પત્ની ટીના અને ટીનએજર સંતાનો પાબ્લો અને ઝયાન પણ જોડે છે. નીલગિરિની પર્વતમાળા પાસે ચીઝ બનાવે છે. થોડા વખત પહેલા પરિવાર સાથે બે વર્ષ માટે આખા ભારતની યાત્રા કરી હતી. એક આજે અપ્રાપ્ય એવું નાનકડું પુસ્તક ‘થર્ડ કર્વ’ બનાવીને વિદ્યાર્થીઓમાં વહેંચ્યું હતું. જેમાં ચમકદમક અને માત્ર આર્થિક વિકાસ પાછળની આંધળી દોટ સામે સાયન્ટિફીક સમીક્ષા સાથે લાલબત્તી હતી.
મન્સૂર કહે છે કે ”ફિલ્મોમાં ક્યાંક મને લાગ્યું હતું કે હું સેકન્ડહેન્ડ બની ગયો છું. કોઈના આઇડિયાથી ઈન્સ્પાયર થાઉં છું કે પછી અન્ય કોઈ (પ્રેક્ષકો-વિતરકો-સ્ટાર્સ)ને કેવું લાગશે એ વિચાર્યા કરું છું. પણ પ્રકૃતિ સાથે ખેતી કરવી એ ફર્સ્ટહેન્ડ એક્ટિવિટી છે. ઓરિજીનલ ક્રિએટીવિટી. બધો આનંદ મૂકીને ઉતરેલી કઢી જેવા મોં રાખી ફકીર બની જવું એમ નહિ. પણ સુખસગવડોથી જીવતાં જીવતાં એટલું ધ્યાન જાગૃત બનીને ગાંધીજીની જેમ રાખવું કે આપણી તૃષ્ણા બેહિસાબ, બેસુમાર છે. પણ આ ધરતી, પર્યાવરણ જે આપે છે એ મર્યાદિત છે!”
વાતો કરવી સહેલી છે ત્યાગની. અને ખિસ્સા ખાલી હોય ત્યારે તો બધા કરતાં જ હોય છે, પણ લક્ષ્મીથી લાઈમલાઈટ બધું જ હાથવગું હોય ત્યો એ છોડીને ફિલ્મી રોમેન્ટિક યંગથીંગ્સની જેમ દુનિયાથી દૂર શાંત સુંદર કુદરતના ખોળે એક કોટેજ બનાવી સ્વર્ગની સાધના કરવી એ અઘરું છે. ઈમ્તિયાઝ અલી શહેરમાં રહીને એ સૂફી જીંદગી વીતાવે ને પડદા પર દર્શાવે છે. મન્સૂર ખાને તો કોઈ હલ્લાગુલ્લા મીડિયા એટેન્શન વિના જ એનો અમલ વર્ષોથી કરે છે.
એકચ્યુઅલી મહાવીર સ્વામીએ આવી જ વાત કરેલી કંઈક.
***
બે ઘડી બહુ અટપટી ધાર્મિક ફિલસૂફીઓ અને હથોડાછાપ ઉપદેશના ભયભીત કરી દેતા વ્યાખ્યાનો ભૂલી જાવ. એક ડિફરન્ટ મોડર્ન પરસ્પેક્ટિવથી વિચારો. મહેલોમાં રહેતા કસાયેલા શરીરવાળા યોદ્ધા રાજપુત્ર મહાવીર ‘બી વન વિથ નેચર’ થવા માટે ચૂપચાપ બધું રજવાડું છોડી એક્ઝિટ લઈ ગયા. નેચરલ મીન્સ નેચરલ, એટલે વસ્ત્રો પણ નહિ, આભૂષણોનો ઠાઠઠઠારો નહિ. જીવદયા અને અહિંસા એટલે કે ઓછામાં ઓછું મેળવવાનું. કશુંક છીનવી લેવું કે – જરૃરથી વધુ ભોગવવું એ ય હિંસા છે.
કુદરતના કાનૂનમાં ક્યાંય પરિગ્રહ એટલે કબજો, સંગ્રહ, માલિકીભાવનું પઝેશન પ્લસ ગ્રીડ નથી. માટે અપરિગ્રહમાં રહેવાનું. કોઈ જીવજંતુને પણ નડવાનું નહિ. કોઈ યંત્રના ઉપયોગ વિના (જેમ કે પૈડાંવાળો રથ) કે પશુની એનર્જી (જેમ કે, ઘોડો-બળદ) ચૂસ્યા વિના માત્ર ચાલીને જ જેટલો થાય એટલો વિહાર કરવાનો. સૂર્યાસ્ત ઢળે ને પંખીઓ જેમ માળામાં આવીને સૂઈ જ જાય એમ અંધારું થાય એટલે ભોજન એ પહેલાં જ કરીને જંપી જવાનું. અજવાળાં સમયે ઉઠી જવા માટે! એન્વાયર્નમેન્ટ કન્સર્નની રીતે કહો તો મિનિમમ રિસોર્સીઝ એટલે મિનિમમ ફૂટપ્રિન્ટસ. સ્પિરિચ્યુઅલ એંગલથી કહો તો ઓછામાં ઓછું કર્મબંધન.
હિન્દુ ઋષિઓ આ લાઈફ સ્ટાઈલને બ્રહ્મચર્ય કહેતા. જી ના. આ શબ્દને કમરની નીચે આવેલા પ્રજનનઅંગની તાળાબંધી સાથે કોઈ સંબંધ નથી. મહાભારતમાં એકથી વધુ સ્ત્રીઓના પ્રિયતમ કૃષ્ણ પણ પોતાને બ્રહ્મચારી ગણાવે છે. ઉપનિષદ મુજબ બ્રહ્મચર્ય એટલે નેચરલ ઈકો ફ્રેન્ડલી લાઈફ સ્ટાઈલ. ખપ પૂરતું જ લેવાનું. સહજભાવે જીવવાનું. જે મનમાં હોય એ પારદર્શકતાથી પ્રગટ કરવાનું. વધુ પડતા પ્રતિકારનો સ્ટ્રેસ ભોગવ્યા વિના સમય-સંજોગો સાથે પાણીની જેમ રંગ-ગંધ-આકારહીન બનીને વહેતા જવાનું. ઉમળકો થાય અને પરસ્પરની સંમતિ હોય તો પ્રેમ-સમાગમ પણ બ્રહ્મચર્ય બ્રહ્મ (અદ્રશ્ય ચૈતન્ય / પ્રાકૃતિક પ્રાણઊર્જા)ના ઈશારે એને અનુકૂળ થઈ જીવવું તે! સહજ મૈથુનનો આનંદ પણ પ્રાકૃતિક અને ઈશ્વરીય છે. સૌંદર્યનું સુખ પણ. પણ બળજબરી કરવી કે છેતરપિંડી કરવી એ વિકૃતિ છે. પ્રકૃતિ નથી.
ભારતીય સાધુ જીવનમાં એટલે જ એક જગ્યાએ જ પડયા પાથર્યા રહેવાની ના હતી. સાધુ તો ચલતા ભલા. એને ભિક્ષા માંગવાનો અધિકાર હતો. કારણ કે, પેટની રોટી તો જીવન ટકાવવા જોઈએ. પણ એમાં વધુ પડતો રસ કે મનગમતી પસંદની ફરમાઈશ ભળવા લાગે તો એ ભોગવવા કોઈની ગુલામી કરવી પડે. અને એમાં આત્માની સ્વતંત્રતા રહે નહિ. ચમત્કારિક સાધનાસિદ્ધિ તો ઠીક છે છોકરાં રમાડવાના જાદૂઈ ખેલતમાશા છે. પણ જો સતત બીજા પર આધારિત જ રહેવાનું થાય, તો લાલસા વધતી જાય. એને સારું લગાડવા માટે આપણે ખોટું કરતાં શીખવું પડે. તો ચિત્ત નિર્ભયપણે મૌલિક વિચારો કરી ન શકે. તો અંદરની સંવેદનશીલતા ગૂંગળાઈ જાય. ફીલિંગ શુદ્ધ ન રહે. શિશુસુલભ યાને ચાઈલ્ડલાઈક વિસ્મય ખોવાઈ જાય.
અને તો નેચર સાથેની, પરમ સાથેની મૌન કનેક્ટિવિટીના સિગ્નલ ખોરવાઈ જાય. માટે અપેક્ષા વિના અજાણ્યા પાસેથી રેન્ડમ ભિક્ષા લેવાની. એમાં વાસી બાજરાનો રોટલો ય મળે અને તાજી મીઠાઈના ચોસલાં. જે મળે તે હરિ ઈચ્છા કરી જીવન કૃષ્ણાર્પણ કરતાં રહેવાનું. ભોગવવાનું ખરું, પણ માંગવાનું નહિ. ઈશ્વરના ઈશારે જીવન છોડી દેવાનું. એ આંગળી પકડીને ચલાવે કે વ્હાલથી તેડીને ખભે બેસાડે. જે ગમે જગદ્ગુરુદેવ જગદીશને…
ગાંધીયુગના રતન જેવા સ્વામી આનંદે એ જમાનાની બહુ દુર્ગમ ગણાતી ગંગોત્રી-કેદારનાથની યાત્રાના અનુભવો લખ્યા છે. એ વખતે બાબા કાલીકમલીવાલાનું સુખ્યાત સદાવ્રત. મોટાભાગના સંસારત્યાગી સાધુઓ પણ ત્યાંથી સીધુંસામાન ભરી લે. એક અજાણ્યો અલગારી સાધુ ત્યાં જાડા રોટલા એટલે ટીક્કડ ખાવા આવ્યો. લોટ સદાવ્રતમાંથી લઈ જાતે જ શેકીને ખાધા. ચાલતો થયો કે કોઈ પરગજુએ બૂમ પાડી. ‘બાબા, આગળ કશું મળશે નહિ. મોસમ ખરાબ છે. અહીંથી બે ટંકનો લોટ/રોટી લઈ જાવ.’
સાધુ થોભ્યો. પાછું વળીને કહે ”પ્યારે, સાધુ શામ કી ફિકર નહીં કરતા!”
આ થઈ સાધુતા. જેને ટીવી કેમેરાની મોહતાજી નથી. શિબિરો ભરીને સમાજમાં દેખાડો કરવો નથી. સંસાર છોડવાના બહાને નવો સંસાર વસાવવો નથી. પોતાની વિચારધારાના ચેલાચેલી શોધવા નથી. વૈભવી આશ્રમો માટે જમીનસંપાદન કરવું નથી. પોતાના કેલેન્ડર-ડાયરી છપાવી પ્રચાર કરવો નથી. લોકો આવે ને ફોટા છપાય તો સારું, ન થાય તો વધુ સારું એકાંતનો આરામ મળ્યો – એ પ્રકારની સંતુલિત સ્થિરતા સાહજિક છે. ને નવી નવી યાત્રાનો રસિક રોમાંચ છે. આવું નથી એટલે આપણે ત્યાં સંન્યાસીઓ બહુ છે, પણ સત્ય-સાત્વિકતા-સદાચાર નથી. મંદિરો વધે છે, પણ માણસાઈ વધતી નથી!
આવતીકાલની ફિકર કરવાવાળો ભગવાન છે. નદીના જળમાં ડૂબકી મારીને ન્હાવ, બાલટી ભરીને ઘેર લઈ જાવ, ખોબો ભરીને પીવો – પણ આખી નદી ઘરની તિજોરીમાં સમાશે? બધું જ પાણી કોઈ રોકેટોક નહિ તો ય પી શકાશે? એમ આ અનંત વિરાટમાં જે મળ્યું એની મોજ માણતા માણતા બાકીની લીલા મુગ્ધભાવે નિહાળ્યા કરવાની. આ વૃત્તિ કેળવાય તો કપડાના રંગ બદલાવી દીક્ષા લેવાની જરૃર નથી. પોતાનું કર્મ હસતાં હસતાં કરતાં જવાનું. ફિકર કરશે નરસિંહનો શામળિયો, મોરારિબાપુનો રામ, કબીરનો માલિક, સેઈન્ટ વેલેન્ટાઈનનો જીસસ, જલાલુદ્દીન રૃમીનો અલ્લાહ, સમ્રાટ અશોકનો બુદ્ધ!
પ્રેક્ટિકલી, તદ્દન સૂફી-સાધુ ન થઈ શકાય એ ય સ્વાભાવિક છે. પણ થોડા હોશમાં તો જીવી શકાય ને. બહારના કોલાહલને મ્યૂટ કરીને નિરાંતની નવીનતા માણવાનો સમય તો કાઢી શકાય ને ? ભક્તિ- બંદગીના નામે વૈભવી ઉત્સવો કરવાને બદલે થોડુંક પ્રભુના પયગંબર બાળકોની નવી પેઢી માટે, આસપાસની સૃષ્ટિ માટે તો કરી શકાય ને !
પણ એ માટે ઘેટાંની જેમ જ્ઞાાતિ, ધર્મ, રાજકીય પક્ષો કે પૈસાપાત્ર કંપનીઓને ત્યાં ગીરવે મૂકેલું ચાપલૂસ મગજ છોડાવવું પડે. ડેવિડ ફિન્ચરની ‘ફાઇટ ક્લબ’ ફિલ્મમાં આ આંધળી બહેરી અને લાઉડ બોલકી એવી રેસમાં ઘૂટન અનુભવતા સેન્સિટીવ થિકિંગ સોલની કાળઝાળ વેદના હતી. પુનરપિ જન્મમ્, પુનરપિ મરણમ્ જેવો આ ચકરાવો ફર્યા જ કરે છે. આખી જિંદગી શું પેટ્રોલ પંપે ફ્યુઅલ પુરાવવામાં અને રેસ્ટોરાંના ટેબલ પર આપેલા ઓર્ડરની વેઇટ કરવામાં જ પૂરી કરવાની છે ? નવી કાર, નવો બંગલો, નવો મોબાઇલ, નવી પાર્ટી, નવો ડ્રેસ, નવા ઘરેણાં…. બસ, એના સપનાની પાછળ હાંફળી ખુલ્લી જીભમાંથી લાળ ટપકાવતા દોડયા કરવું એ જ લાઇફ છે ?
સ્ટોપ. એન્ડ થિંક. બધા વ્હાઇટ કોલર જોબ/ પ્રેસ્ટિજની કઠપૂતળીઓ થતા જાય છે. આપણે કોઈ મહાન લડાઈ નથી લડી. ધર્મ- જ્ઞાાતિ, સંસ્કૃતિને પરંપરાના છૂટકિયા અહંકાર માટે ટોળામાં ભેગા થઈ નારાબાજી કે ભાંગફોડ કરવી એને આપણે વીરતા માનીએ છીએ. આપણે કોઈ ભયાનક મંદી નથી જોઈ. આપણી લાઇફમાં ઢળતી સાંજની એકલતા જોડે રૃટિન બોરિંગનેસને લીધે આવતા ડિપ્રેશનનો કંટાળો આપણે મહારોગની કંગાળ પીડા માનીએ છીએ. બકૌલ ફાઇટ ક્લબ, વી આર મિડલ ચિલ્ડ્ર્ન ઓફ હિસ્ટ્રી. નો પર્પઝ ઓર પ્લેસ !
આપણે ઉછરીએ છીએ બસ ટી.વી. મોબાઇલના હાથમાં. બધા સામુહિક સપના જોયા કરે છે, ટિકિટના પૈસા વસૂલતા બિઝનેસ મોટીવેટર્સે ઉધાર આપેલા કે એક દિવસે આપણે બધાં કરોડપતિ થઈ જઈશું, બધા ફેમસ રોકસ્ટાર થઈ જઈશું, બધાની લાઇફમાં ફિલ્મી હીરો- હીરોઇન જેવા પાર્ટનર્સ આવશે, આપણા બાળકો સુપર સેલિબ્રિટી જ બની જશે.
પણ આવું થવાનું નથી. સ્કૂલોથી પોલિટિક્સનો કોર્પોરેટ પ્રોફિટ વધ્યા કરશે. પણ તમામેતમામ ભૌતિક સંપત્તિમાં ગરીબથી અમીર, ગુમનામથી નામંકિત થઈ શકવાના નથી. કારણ કે, બધા એકસરખા શ્રીમંત હોય એને શ્રીમંતાઈ જ ન કહેવાય. બધા જ ફેમસ થઈ જાય તો ફેન કોણ થાય? એ ફિલ્મમાં તો વાસ્તવના આવા વિરાટદર્શનથી હતાશ નાયક ડલ લાઇફને એક્સાઇટિંગ બનાવવા પહેલા લોહી રેડતી મારામારીના ખાનગી દંગલ યોજે છે.
ઉપરઉપરથી સિવિલાઇઝ્ડ દેખાતી સોસાયટીમાં અંદરથી તો બધા ભૂખ્યા રાની પશુ છે. હિંસામાંથી એમને કિક લાગે છે ! ગાંધી એમને ડલ લાગે છે અને જેવો આ વિષચક્ર સામે વિપ્લવ કરવા જાવ, એટલે વિદ્રોહને ઉપરવાળા તો ઠીક, નીચેવાળા જ ખતમ કરી નાખશે. કારણ કે, એમનું મૃગજળિયું ઘેન સચ્ચાઈના તાપમાં વીખેરાઈ જાય, એ એમને ગમતું નથી ! એટલે ‘મારે સામો પ્રહાર કરી મળતા બદલાનો આનંદ નથી જોતો, પણ સામાને બદલવાના પરિવર્તનનો સંતોષ જોઈએ છે.’ એવું માની જીવતા ગાંધીએ મરવું પડે છે, હડધૂત થવું પડે છે.
જસ્ટ થિંક, એવી કેવી ઘેલછા કે એકદમ અંગત પોતીકાઓ સિવાય કોઈ નથી જોવાનું, એવા અંદર પહેરવાના બ્રા અને જાંગીયા પણ કોઈકના નામના બ્રાન્ડેડ હોય?! નિજી જીંદગીની- પસંદગી પર એડવર્ટાઇઝીંગની આવી તરાપ? ફ્રી વિલની ચોઇસ પર?
***
૧૯૯૯માં એક ફિલ્મ આવેલી ‘ઇન્સ્ટિન્ક્ટ’ બહુ વખણાઈ કે જોવાઈ નહિ. પણ લાજવાબ, અદ્ભુત ફિલ્મ હતી. ફિલ્મ પૂરી થાય ને વિચારો શરૃ થાય એવી!
ટોકેટિવ છતાં ઇન્ટરેસ્ટિંગ ફિલ્મનું પ્રિમાઇસ કંઈક આવું છે. એક અમેરિકન નૃવંશશાસ્ત્રી જંગલોનો અભ્યાસ કરવા આફ્રિકા જાય છે. વર્ષો સુધી ગાયબ થઈ જાય છે. મળે છે ત્યારે એક ગોરિલ્લાના જૂથ સાથે રહેતો હોય છે અને માણસોના ખૂન કરી નાખે છે (પછીથી પ્રગટ થાય છે રહસ્ય કે જેમના ખૂન થયા એ ગેરકાનૂની શિકારીઓ હતા) બાદમાં એ તદ્દન મૌન થઈ જાય છે. એ માનસિક અસ્થિર અને હિંસક ગણાયેલા વૃદ્ધને જાલિમ અમેરિકન જેલમાં ટ્રાન્સફર કરાય છે, જ્યાં એક કરિયર બનાવવા માટે ઉત્સાહી એવો મનોવિજ્ઞાાની એમનો લીગલ રિસર્ચ કરી ફેમસ થઈ જવાની ઝંખનાથી પરમિશન લઈને આવે છે…
અને ઉત્તમ કળાની જેમ એ ફ્રેમની બહાર જઈને સવાલો ઉઠાવે છે. એન્થની હોપકિન્સે જેનું પાત્ર બેનમૂન રીતે ભજવેલું એવો જંગલી પાગલ ગણાયેલો વૃદ્ધ પ્રોફેસર કહે છે કે, ‘આ દુનિયા ટેકર્સે ભ્રષ્ટ કરી છે. યુગો પહેલાં પૃથ્વી પર જીવન શરૃ થયું ત્યારે માણસ જંગલી જોડે રહેતો હતો, એટેલ આટલી પ્રગતિ કરી શક્યો. એ મૂળિયાના જોરે! આજે તો મહાનગરમાં લૂંટ, બળાત્કાર, ઈજાનું જોખમ જંગલ કરતા વધુ છે!’ (બાપડા પ્રાણીઓને લાગણી તો હોય છે, પણ બેવકૂફ બદમાશ ઇન્સાનોની જેમ એ દુભાતી નથી!)
હજારો વર્ષો પહેલાં હન્ટર્સને પ્લાન્ટર્સ હતા. એ ખતરારૃપ નહોતા. કારણ કે એ જરૃર પૂરતો જ શિકાર કરતા કે વાવેતર કરતા. પોતાની જરૃરિયાતથી આગળ આવેલી એમની કોઈ મહત્ત્વકાંક્ષા નહોતી. માટે એ લડતા, પણ કોઈ (રાજ્ય કે ધર્મ ખાતર) યુદ્ધ કરી બીજાને લડાવતા નહિ. એમની હિંસા પોતાના સર્વાઇવલ, ડિફેન્સ પૂરતી હતી. શિકાર કે ખેતી પણ પોતાની ભૂખ મિટાવવા માટે.
પણ પછી આવ્યા ટેકર્સ. જે માનવજાતના બની બેઠેલા ભગવાનો થઈ ગયા, ધરતીની માલિકી એમણે બથાવી પાડી. એ ટેકર્સ એટલે વેપારી વૃત્તિવાળા. ઓથોરિટી જમાવવામાં આનંદ આવે તેવા. એમણે બધું બગાડી નાખ્યું. હું કેમેરા લઈને ગોરિલાઓ પાસે જતો તો એ ભડકતા. કારણ કે એમને મશીન સામે વાંધો હતો. પછી એમણે મને એમનો ગણી લીધો. માણસોએ નુકસાન પહોંચાડયું ને પોતાના ચુકાદા આપી એને ગુનેગાર ઠેરવ્યો પણ પ્રાણીઓએ સાચવીને રાખ્યો.
એ આક્રમણ કરતા, પણ સ્વરક્ષણ અને ભક્ષણ પૂરતું. એમની ઇચ્છાઓ અસંખ્ય નહોતી, જીંદગી સિમ્પલ હતી. પ્રકૃતિ એમનું ઘર હતું પ્રોપર્ટી નહોતી, એટલે એ મારું ધ્યાન રાખતા એમાં ફેમિલીનો મીનિંગ સમજાયો. કોઈ કશું બોલે નહિ, પણ આપણી સામે કાળજીથી જોવે એ એમની હાજરીનો ખામોશ અહેસાસ છે… એ સ્વજન હોવાનું સુખ!”
રોમાંચક ઘટનાઓ વચ્ચે મિસ્ટર નેચર જેવા પ્રોફેસર પેલા યુવા સાઇકિયાટ્રિસ્ટને સમજાવે છે કે, માણસની મૂળભત નબળાઈ છે : કન્ટ્રોલ. દરેકને બીજા પર કાબૂ મેળવીને ગ્રેટ કે રિચ બની જવું છે. એમાંથી ખટપટ, જૂઠ, ઇર્ષા, અપરાધ જન્મે છે. ફ્રીડમના ડ્રીમ જોતો માણસ પણ બીજાને કન્ટ્રોલ કરવા મથતો રહે છે! કારની સ્પીડ કે એસીનુ ટેમ્પરેચર કે ટીવીનું વોલ્યુમ- બધા કંટ્રોલ આંગળીના ટેરવે રાખી એ પોતાને ‘બોસ’ સમજે છે. પછી એના આ લોભને થોભ નથી એટલે એને ‘ડ્રીમ ઓફ ફ્રીડમ’ ગમતું નથી.
ડાયરેક્ટર ‘ઇન્સ્ટિંક્ટ’માં બે-ત્રણ અગત્યની વાતો વાર્તામાં ગૂંથીને આપણને કહે છે. એક, આઝાદી અસંભવ નથી પણ સામે દેખાતી વાડને ઓળંગીને વાઇલ્ડ કૂદકો મારવાની આગ અંદર ભભૂકવી જોઈએ. અને એ પોતાની અંદરથી ઉઠાવી જોઈએ. પારકી સલાહને લીધે ખુદનું જીવન જીવી ન શકાય. બે, આપણે બધા જ કોઈને કોઈ ઇલ્યુઝન (ભ્રમણા)ના ગુલામ છીએ. બહાર જે મહોરું પહેરીએ તે, અંદરથી ચાલાક, ગણત્રીબાજ છીએ. કોઈને કેવું લાગશે એ વિચારીને જાતને અને સામેવાળાને છેતરીએ છીએ. બધું પ્રોગ્રામ્ડ કેલ્ક્યુલેશન છે. સફળતા માટે જીહજૂરી, ઘૂસણખોરી, પંચાત, કૂથલી, કોને શું સારું લાગશે જેનાથી આપણને કશોક ફાયદો થાય એમ માનીને સતત જીવવાના નામે માત્ર જીવવાનું નાટક જ કરતા રહીએ છીએ!
યસ, આપણી અંદરના અસલી અવાજને ઘોંટીને આપણે સમાજ, ધર્મ, પરંપરા, દેશના ચોકઠામાં જાતને ફિટ કરીએ છીએ. માનો કે થોડે અંશે એ અનિવાર્ય ગણો તો ય – એટલિસ્ટ, એવું થાય છે એનું અંદરથી ભાન તો હોવું જોઈએ ને? તો થોડુંક ટોલરન્સ આવશે. બીજાનો સ્વીકાર થશે. પણ આર્ટિસ્ટ કે રેશનાલીસ્ટ કે કવિ થઈને ફરતા લોકો, જરાક ખોતરો અને વાત એમની ગમતી માન્યતા કે આસ્થાની આવે એ પછી ખાનદાન હોય- કોમ હોય- ધર્મ હોય- વોટએવર એટલે તરત જ જડસુ, હિંસક, રેઝીસ્ટન્સ ડેવલપ કરી લે છે. લાજવાને બદલે ગાજવા લાગે છે. એન્ડ ધેટ્સ ધ પિટી, ધેટ્સ ધ ડેન્જર.
રીડર બિરાદરોને થશે કે, તો શું મન્સૂર કે મહાવીરને જેમ બધું છોડી જંગલમાં કે પહાડો પર જતા રહીએ? વેલ, એ ય ત્યારે થાય, જ્યારે એ બંનેની જેમ સુખસગવડોથી પહેલા પૂરા ધરાઈ ગયા હો. (બંને સંપન્ન પરિવારના ફરજંદ હતા !) અંદર અધૂરપ હશે, તો આવું પલાયન બનાવટી ને તકલાદી નીવડશે.
બુદ્ધના મધ્યમ માર્ગે એવું કહી શકાય કે ‘ફેક નીડ્સ’થી દૂર રહો. કન્ટ્રોલ ફ્રીક ન થાવ. જીવન મસ્તીથી રસભરપૂર માણો, પણ કોઈના માર્કેટિંગ રોબોટ બનીને નહિ. ખુદની મરજીથી. મોંઘી કાર લો, તો ય જરૃર વગર એ વાપર્યા ન કરો. પગે ચાલવાની કે કોઈકના બાઇકની પાછળ બેસી જવાની સાહજિકતા કેળવો. ફોર્માલિટી ઘટાડશો, તો નોબિલીટી વધશે! બહુ બધો સંગ્રહ- પરિગ્રહ ન કરો. તબીબી- શૈક્ષણિક- પારિવારિક જરૃરિયાતોથી વધુ પ્લાનિંગ ન કરો. સેક્સ, ડાન્સ, મ્યુઝિક, એન્ટરટેઇનમેન્ટ, ટ્રાવેલિંગ બધું જ માણો, પણ જરા ડિટેચ્ડ રહીને. ગીતામાં કહ્યું છે, એમ મમત્વના એટેચમેન્ટને ઘટાડીને. સાક્ષીભાવે.
આપણી પહેલાં ય આ ભોગવિલાસ હતા, ને આપણા પછી ય રહેશે. માટે મુગ્ધતાથી આનંદ માણો, પણ એના માલિક બનવામાં જીવન બરબાદ ન કરો. વસ્તુઓ કે વ્યક્તિઓને બદલે અનુભૂતિઓ અને આત્મનિરીક્ષણ બાબતે ક્રેઝી બનીએ. એક્ચ્યુઅલી, ફ્રીડમ બાબતે આપણે કોન્ફિડન્ટ નથી – ડરપોક છીએ. લિવ ધેટ સેફ્ટી મોડ.
રિમેમ્બર, પૈસો કમાવો પડશે આવું લખવા- વિચારવા- ફિલ્મ બનાવવા- બૂક છપાવવા- જીવવા માટે ય. પણ પૈસો જેટલો વાપર્યો એટલો જ આપણો છે. સાચવ્યો એ તો પારકો છે. આપણે ખોટા કેરટેકર તરીકે એના લોહીઉકાળા કરતા રહ્યા ! તમને અંદરથી અફસોસ છે કે કશુંક ખરેખર ગમતું હતું એ કરવાનું રહી ગયું ! મરતા પહેલા એ કરવું છે? તો ક્યારે મરવાનું થશે, એની ગેરન્ટી નથી. સ્ટાર્ટ ઇટ ટુડે. (શીર્ષક પંક્તિ: ઉદયન ઠક્કર)
ફાસ્ટ ફોરવર્ડ
‘પ્રેમનો વિરુદ્ધાર્થી શબ્દ શું?’- નફરત? ઉપેક્ષા? ક્રોધ? વેર? હિંસા?… ના. ઓપોઝિટ ઓફ લવ ઇઝ ફીઅર. પ્રેમનો વિરુદ્ધાર્થી શબ્દ છે ભય!
(ગાંધીજીના ગ્રાન્ડ ડોટર, તારા ગાંધી ભટ્ટાચાર્યજી)
————-
સ્પેક્ટ્રોમીટર * જય વસાવડા
ગુજરાત સમાચાર ૫ ફેબ્રુઆરી, ૨૦૧૭
Ajaysinh Jadeja
February 10, 2017 at 2:32 AM
દર વખતની જેમ ખૂબ સરસ સાથે તમે વડોદરા આવ્યાં તયારે આ લેખ વિશે વાત કરતા કહ્યુ હતુ કે આવી વાત મે લેખ માં લખી છે તેં મને યાદ છે.
LikeLike
R T Shah
February 10, 2017 at 4:58 AM
Beautiful writing from within.Keep it up
LikeLike
Sushrut Pandya
February 10, 2017 at 7:07 AM
“…જરૃરથી વધુ ભોગવવું એ ય હિંસા છે.” સચોટ વાત
ઘન મર્મ વાળો પ્રવાહી લેખ… વાહ
LikeLike
Pushpavadan kadakia
February 10, 2017 at 10:12 AM
Excellent writing. I had a chance to hear jay bhai when you were in isa
LikeLike
Minaxi Vyas
February 10, 2017 at 10:47 AM
ખૂબ જ સચોટ શબ્દોમાં સચોટ સંદેશ..
LikeLike
gopalkhetani
February 10, 2017 at 10:39 AM
બધું જ ગમ્યું આ લેખમાંથી. પણ સર્વોત્તમ અને દિમાગને જે ટકોરો મારી ગયું તે “માણસની મૂળભત નબળાઈ છે : કન્ટ્રોલ. દરેકને બીજા પર કાબૂ મેળવીને ગ્રેટ કે રિચ બની જવું છે. એમાંથી ખટપટ, જૂઠ, ઇર્ષા, અપરાધ જન્મે છે. ફ્રીડમના ડ્રીમ જોતો માણસ પણ બીજાને કન્ટ્રોલ કરવા મથતો રહે છે!” – This is 110% fact.
LikeLike
DEEPAK SHARMA
February 10, 2017 at 11:21 AM
excellent as usual.
LikeLike
Kartik
February 10, 2017 at 11:27 AM
Thanks Jay bhai. hu je feel karu chu e vachine bahu saru lagyu. sache j routine life etli bore thai jay che ke amathi chutvani khub icha thai ave pan again e j job, e j ghar sambhado bachat karo paisa na vedfo aam karo tem karo evi parents ni tak tak e badha ma dubi jaie chie and divso aam j pasar thata rahe che. ghani var icha thay che ke kyak fari avie gher gaya rupiya, kaik biji activity karu ke jenathi man ne mari jat ne shanti male satisfaction male pan na kai j nathi thatu ne e boringness chalu ne chalu j rahe che. khabar nai apne sachi rite man ne gamti rite jivta kyare shikhisu…..
LikeLike
Jaimin madhani
February 10, 2017 at 12:50 PM
નોટ સિક્કા નાખ નદીમાં ધુળીયે મારગ ચાલ.
LikeLike
dhinal satikuvar
February 10, 2017 at 2:16 PM
Jv it’s like a gift for Valentine’s to all
Marvellous
LikeLike
Mayank thakkar
February 10, 2017 at 3:11 PM
ખુબ સરસ કહ્યુ
LikeLike
Dr. Vivek Vidja
February 10, 2017 at 3:59 PM
હું મારી આખી જિંદગી માં જો કોઈ પણ વ્યક્તિની વિચારસરણીથી વધું માં વધું પ્રભાવિત થયો હોઉં તો તે તમે છો જયભાઈ. શાહરુખ અને અમીતાભ બચ્ચન જેવું ઊંડાણ છે તમારા વિચારો માં. અને ફ્રેંકલી મને ધર્મની ફાંકડી વાતો અને ઉપદેશો કરતા તમારી સીધી, સરળ અને પ્રેકટીકલ વાતો વધારે ગમે છે. તમારી પર્સનાલિટી ને મારા શબ્દોમાં એક વાક્યમાં વ્યક્ત કરવી હોય તો આ પ્રમાણે કરી
શકાય. “દંભરહિત, મોજીલો, અલગારી, સત્યપ્રિય અને સ્વતંત્રમિજાજી યુવાન”
LikeLike
dipak soliya
February 10, 2017 at 4:13 PM
ઉમદા લેખ.
LikeLike
Nehal
February 10, 2017 at 7:33 PM
Nice
LikeLike
રવિ જીવાણી
February 10, 2017 at 6:49 PM
નવું જીવન જીવવાની પ્રેરણા આપતો અદભૂત લેખ..! વધારે ન લઈએ તો કંઈ નઇ પણ થોડુક તો લઇએ..
LikeLike
Nilesh G. Dhrangadhariya
February 10, 2017 at 8:52 PM
ખુબ સરસ લેખ.
LikeLike
Shailesh
February 10, 2017 at 9:12 PM
As always jaybhai u r great
LikeLike
Bhavu patel
February 10, 2017 at 9:34 PM
ખૂબ જ સરસ લેખ…. મને આખા જ લેખ માં બધુ ગમ્યું. અને સૌથી વધુ છેલ્લી લીટી જે હું હંમેશાં મારા માટે વિચારું છું તે એ કે Die with memories not with dream… ..
LikeLike
Batukbhai Muljibhai Thummar
February 10, 2017 at 11:03 PM
જય હો! આત્મીય સ્નાન કરીને જલકમલવત્ બની ગયા નું અનુભવી રહ્યો છું.
શું લખું? કોઈ શબ્દ મળતો નથી.લાગે છે આમા બધા જ શાસ્ત્રો નો નીચોડ આવી ગયો.જય હો.
LikeLike
Mahavir rao
February 10, 2017 at 11:03 PM
આને કહેવાય જાગૃત માણસ, જે જીવન થી જાગી જાય (ઉંધ માથી નહી )એવા વિરલ વ્યક્તિ ને વિશાળ વ્યકિતતવ કહેવાય
LikeLike
Sangita Patel
February 11, 2017 at 12:47 AM
thank you so much, I always enjoy your reading!
LikeLike
Uday
February 11, 2017 at 8:42 AM
ડિયર જયજી,
ઘણા વખત બાદ જયભાઈની કલમનો કસબ વિચારવંત લેખ આપી શક્યો…!! ખૂબ જ ગમ્યો. ….જાણે ઘણા અરસે કોઈ ફિલ્મ આવી મજાની….👌
મહાવીરથી ય નજીકના સમયના હે. ડે. થૉરોનો જીવન માર્ગ પણ આ જ …!!
લેખનું મૂલ્ય અંકાય એમ નથી.
મઢાવીને દિવાલ પર રખાય એવો, કાયમ નજર નાખવી ગમે..!
વાસંતી લાગણીઓની ઝંકૃતી …!!
-ઉદયના સ્નેહાદર!
LikeLike
Vipul Chauhan
February 11, 2017 at 8:10 AM
Very touchy article. Best one.
LikeLike
Chintan Shah
February 15, 2017 at 4:16 PM
Jay Sir, Tamara articles vaachi khubaj maja aave chhe. pachhu, Tame ganivaar english novels ni gujarati aavrutio no tamara articles maa ullekh karo chho, e maate vanchan ni haji vadhu ichcha thaay chhe. Hu thoda vakhat maaj Mumbai thi Vadodara shift thavano chhu. Plz English novels ni Gujarati aavruti kya thi purchase kari shakaay e pan janavsho.
LikeLike
ડોલી
April 9, 2018 at 11:26 AM
ભયનો વિરુદ્ધાર્થી શબ્દ શોધતી અહિં આવી. આભાર.
LikeLike
જૈમિન માધાણી
October 11, 2018 at 4:06 PM
સરસ
LikeLike