તો આ વખતે એકેડેમીએ દગો ના દીધો. દર વખત કરતા ચુસ્ત નોમિનેશન્સ રહ્યા અને દર વખત કરતા તંદુરસ્ત પરિણામો પણ. અપેક્ષા મુજબ. આર્ગો બેસ્ટ ફિલ્મ થઇ અને લાઈફ ઓફ પાઈની નવલકથાને આબેહૂબ સજીવન કરવા માટે એને શ્વસી ગયેલા વિઝ્યુઅલ વિઝાર્ડ દિગ્દર્શક એંગ લી બેસ્ટ ડાયરેક્ટર. આર્ગો પરનો લેખ સ્પોઈલર્સથી ભરવો પડે ને એ વળી ભારતમાં કોઈએ ભાગ્યે જ જોઈ હોય એટલે લખ્યો નહિ. પણ લાઈફ ઓફ પાઈ તો ભારતમાં મેગાહીટ નિવડેલી. એનો લેખ મેં જે લખેલો મારી કોલમમાં, એ અહીં મુકું છું.
લાઈફ ઓફ પાઈ કેવળ એક કિતાબ કે ફિલ્મ નથી. એમાં અનહદનો અનાગત નાદ સ્પષ્ટ સંભળાય છે. એ એક અર્થમાં “લાઈફ ઓફ જય” પણ છે. આ લેખમાં મેં જે લખવા ધારેલું એનો કેવળ ત્રીજો ભાગ જ સમજી વિચારીને મુકેલો. બાકીનાનો હજુ સમય નથી આવ્યો. આટલું પચે તો ય ઘણું છે. પણ એટલું કહું છું કે આ બધા વિચારો વહેંચવા માટે લાઈફ ઓફ પાઈ એક નિમિત્ત છે. એ શુદ્ધ ભારતીય તત્વદર્શનનું સર્જન છે. ( જે હાકલાપડકારાના સંકુચિત અને ધાર્મિક હિન્દુત્વમાં ક્યાંય ખોવાઈ ગયું છે ) અને જેની ભીતરની આંખ થોડીકે ય ખુલી હોય એ જ એમાં નિહાળી શકે તેમ છે.
આ લેખ ફિલ્મેં ફરી ગાઢ કરેલી અંતરની અનુભૂતિનો અણસાર છે, ગેબના ગૂઢ સંગીતનો એમાં ક્યાંક પુરેપૂરો વર્ણવી ના શકાય ( પણ અનુભવી શકાય ) એવો તાર છે. એંગ લી સિવાયના કોઈ વેસ્ટર્ન સર્જકને કસોટીમાં મુકાવું પડ્યું હોત ભારતમાંથી કેનેડિયન યાન માર્ટેલને સૂઝેલી કથાના રૂપાંતર માટે.
કેટલી વાર ઓસ્કારના સતેજ પર બેસ્ટ ડાયરેક્ટરની સ્પીચનો અંત ભારતના હિન્દી નમસ્તે થી આવ્યો હશે ? પહેલી વાર આ થયું ! થેન્ક્સ એંગ લી. મુક્ત પારદર્શતાને લીધે પરદેશીઓ એ પામી જશે , જે બંધન અને દંભને લીધે પાસે હોવા છતાં ભારત ખોઈ રહ્યું છે !
જીવન, મૃત્યુ, ઇશ્વર અને સંઘર્ષની એક આધુનિક સર્જનાત્મક ગાથામાંથી ઉકેલાય છે સૃષ્ટિના સનાતન રહસ્યો!
‘શ્રદ્ધા એવું ઘર છે, જેમાં અવનવા અનેક ઓરડાઓ મોજૂદ છે.’
‘પણ શંકાનું એમાં કોઇ સ્થાન નથી હોતું, ખરૂંને?’
‘અરે, દરેક માળે એની તો જગ્યા હોય છે. સંશય તો જરૃરી છે, એ શ્રદ્ધાને મજબૂત કરે છે. જયાં સુધી કસોટીએ ન ચડે ત્યાં સુધી શ્રદ્ધાની તાકાત આપણને પૂરી ઓળખાતી નથી!’
આ સંવાદ આવતા વર્ષે ઓસ્કારની રેસમાં ફ્રન્ટરનર નીવડવાની છે, એવી તાઇવાનના દિગ્દર્શક એંગ લીની અદ્દભૂત ફિલ્મ ‘લાઇફ ઓફ પાઇ’નો છે. ૧૦ વરસ પહેલાં જ સાહિત્યનું નોબેલ પછીનું પ્રતિષ્ઠિત ગણાતું બૂકર પ્રાઇઝ જીતનારી નોવેલનું એ આબેહૂબ ફિલ્મી એડોપ્શન છે! યુવાન કેનેડિયન લેખક યાન માર્ટેલે આ કથા ભારતીય પરિવારમાં સેટ કરી છે, કારણ કે એક બ્રાઝિલિયન કથામાંથી નાવડીમાં પ્રાણી સાથે રહેતા સર્વાઇવરનો આઇડિયા જડયા પછી આ કથાનું પોત એમને દિશાહીન અવસ્થામાં દુનિયામાં રઝળપાટ કરતા હતા, ત્યારે ભારતમાં માથેરાન મુકામે સૂઝયું હતું! કેવળ પૂર્વેનો જ દિગ્દર્શક ન્યાય આપી શકે, એવી આ કહાની હાડોહાડ ભારતીય છે. એના પાને પાને (અને ફિલ્મની ફ્રેમે ફ્રેમે) ઉપનિષદોના મંત્રોચ્ચાર સાંભળી શકાય છે. ટીવી ચેનલો પર ફિલસૂફીના ફોતરાં ઠાલવતા ગોખણિયા ગુરૃઓના ઉલટાપુલટા ઉપદેશને બદલે અહીં સોલિડ સત્ય છે. વાંચતા-જોતાંવેંત ખબર પડી જાય કે એનો સર્જક ફકત લેખક નથી ‘એ કશુંક ભાળી ગયો છે, કશુંક પામી ગયો છે!’
એટલે ‘લાઇફ ઓફ પાઇ’ ઇશાવાશ્યમ ઇદમ સર્વમ ની માનવની પ્રકૃતિ સાથે સંવાદિતા (હાર્મની)ના મધુર સૂર રણઝણાવતી મહાગાથા છે. મહાન કળાઓ માટે અનિવાર્ય ગણાય, એવી એ મલ્ટીલેયર્ડ છે, જેમાં સીધી સાદી લાગતી વાર્તાના આપણી આસપાસની અજાયબ સૃષ્ટિ જેવા અનેક પડ ધીરે ધીરે એનો ભાવક જો સંવેદનશીલ અને સર્જકમિજાજ હોય, તો ખુલે છે. એક તરફથી એ માણસના સાહસની, જીવનના પડકારો સામે હાર માન્યા વિના ઝઝુમવાની જીજીવિષાની સુપર્બ ‘સ્ટોરી ઓફ સર્વાઇવલ’ છે. મોટિવેશનલ મેજીકથી ભરપૂર! પણ સાથોસાથ આ જ સંજોગોના તોફાની મોજાંઓ વચ્ચે બાવડાં ફુલાવીને નાવડી હુંકારવાનું જોર કરતી વખતે, પાર ઉતારવા માટે સુકાન હરિને હાથ સોંપી દેવાની, અર્જુનના ગાંડીવટંકાર માટે રથના સારથી શ્રીકૃષ્ણને બનાવવાની, પરમ શ્રદ્ધા અને બિનશરતી સમર્પણની, એ આધ્યાત્મિક દિવ્યજયોતિ છે – જેના અભયનું અજવાળું માણસને કાતિલ કટોકટીમાં માર્ગ બતાવે છે, જીવન-મૃત્યુ વિશેના કેટલાક અઘરા કોયડાઓનો સહજ અને સરળ ઉકેલ આપે છે!
અને ‘થેયસ’ (આનાતોલ ફ્રાન્સ) કે સિદ્ધાર્થ (હરમાન હેસ) કે જીન ક્રિસ્તોફ (રોમાં રોલા) કે ઓલ્ડ મેન એન્ડ ધ સી (અર્નેસ્ટ હેમિંગ્વે) કે કોન-ટિકી (થોર હાયરડાલ) કે મોબી ડિક (હરમાન મેલવિલ)ની કલાસિક સ્મૃતિઓને એકસાથે તાજી કરી આપતી ‘લાઇફ ઓફ પાઇ’ ટ્રિબ્યુટ ટુ ક્રિએટિવિટી એન્ડ ઇમેજીનેશન છે. વાસ્તવની વેદનાના ઉકાળામાંથી નીપજતી કલ્પનાનો કમાલ સ્વાદ! પાઇ પટેલ લેખકને કહે છે, એમ આપણે બધા વિષ્ણુના સપનાનો જ હિસ્સો છીએ!
જી હા, પડદા પર ફિલ્મ નિહાળતી વખતે આપણે એવું માનીએ છીએ કે આ રિયાલિટી નથી. છતાં થોડી ક્ષણો માટે એમાં એકરૂપ થઇને ખોવાઇ જઇએ છીએ. પાત્રોના દુઃખે દુઃખી અને સુખે સુખી થઇ શકીએ છીએ… અને ફરી આપણી જીંદગીમાં ગોઠવાઇ જઇએ છીએ.
વેલ, એ જીંદગી રિયાલિટી છે? કે પછી ફકત રિલેટીવિટી જ છે! જેને આપણે હકીકત કહીએ છીએ એ ય દ્રષ્ટિકોણ જ છે ને! યાન માર્ટેલે એક મુલાકાતમાં કહેલું કે ‘રિયાલિટી ઇઝ ઇન્ટરપ્રિટેશન. વી કો-ક્રિએટ ઇટ’ મતલબ, વાસ્તવ મોટેભાગે તો આપણું આપણને થયેલા અનુભવોનું અર્થઘટન છે જયારે આપણે મૂડમાં હોઇએ, પગારમાં અણધાર્યો વધારો હોય, પ્રિયજનની ચુંબનની ભીનાશ હોઠ પર તાજી હોય, ચૂંટણીમાં ચકચકિત વિજય હોય, અચાનક રાતની રસોઇમાંથી છુટ્ટી હોય ત્યારે દુનિયા હસીનરંગીન લાગે અને મૂડ ઓફ હોય, કોર્ટ- હોસ્પિટલની દોડાદોડીના ચક્કર હોય, નવી તકની તલાશ હોય, પાછલા પ્રોજેકટસ ફલોપ હોય, નણંદનું કાળજે લાગેલું મહેણું હોય ત્યારે દુનિયા સાક્ષાત નરક જેવી લાગે છે. દૂરની સોસાયટીમાં આવેલું મકાન કોઇ મુલાકાતીને શાંત અને કોઇ વિઝિટરને બોરિંગ લાગી શકે છે. જૈસી જીસ કી સોચ્ચ!
જીવનની બધી ઘટનાઓ આપણે પસંદ કરી શકતા નથી. ત્યાં માણસ રંગમંચની કઠપૂતળી છે. પણ એ ઘટનાઓનું અર્થઘટન એના હાથમાં છે. ત્યાં એ પોતાના કેરેકટરનો ડાયરેકટર છે!
એટલે સ્તો બુદ્ધને, મહાવીરને, મોહમ્મદને, કૃષ્ણને, નાનકને, જીસસને, જરથુષ્ટ્રને, મોઝિસને મૂળ તો પરમ તત્વનો, મા ઇવા (કર્ટસી : અવતાર)નો, તાઓનો, બ્રહ્મનો, ફોર્સ (કર્ટસીઃ સ્ટાર વોર્સ)નો ચૈતન્યનો એક જ પ્રકાશ દેખાય છે. કોઇ તેજોલેશ્યાની વાત કરે છે તો કોઇ ખુદાઇ નૂરની. કોઇ લીડ કાઇન્ડલી લાઇટ કહે છે તો કોઇ તમસો મા જયોર્તિગમય, કોઇ ઓમ ર્ભૂભૂવસ્વઃ ની પ્રાર્થના કરે છે તો કોઇ અપ્પ દીપો ભવની અહાલેક આપે છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવા રૃપે અનંત ભાસે!
અનુભૂતિ એક છે, પણ અર્થઘટન અલગ અલગ છે. એમાંથી જ ધર્મો રચાય છે. એમાંથી જ જેમને જે રીતે અનુભૂતિ થઇ એના કર્મકાંડનું- જાળું ઉપવાસથી નમાઝ, માળાથી બ્રહ્મચર્ય, મીણબત્તીથી દીવા, વૃક્ષથી શિખર, શાકાહારથી માંસાહાર જેવા પોતે અર્થઘટન કરેલા બેકગ્રાઉન્ડમાં ગોઠવે છે અને દર્શનને બદલે ધર્મનું તત્વ ઘર્ષણ થઇ જાય છે. ખુદમાં ઝાંકવાને બદલે બીજા સાથેની સરખામણી અને સ્પર્ધા થઇ જાય છે.
માટે ઇશ્વરના અસ્તિત્વનો અકળ કોયડો ધર્મોથી ઉકેલાતો નથી, ગૂંચવાય છે. કહેવાતા ધર્મ ઇશ્વર માટે માલિકીભાવ રાખે છે! રોંગ! જે સમગ્ર સચરાચર (હોલ યુનિવર્સ) સાથેના સંપર્કથી જડે છે, એને કેવળ તર્કથી ઓળખવાના પ્રયાસોમાં વિજ્ઞાાનનો વખત પણ વેડફાય છે.
પણ જેમ એક લેખક ઘેર બેસીને અવનવી ફેન્ટેસી રચી કાઢે, અને એમાં આપણે માની શકતા હોઇએ તો આ સૃષ્ટિના સર્જનહારમાં કેમ નહિં? આ શબ્દોમાં સમજાવવું અઘરૃં છે. જેમ જીવનની વ્યાખ્યા કોઇ વિશ્વની સ્પષ્ટ સમજાવી શકતો નથી, પ્રેમમાં તરબોળ હોવા છતાં પ્રેમનું વર્ણન કોઇ પ્રેમી કરી શકતો નથી, એમ જ સાચો આસ્થાવાન આસ્થાને અનુભવી શકે છે, પણ વર્ણવી શકતો નથી. ઈશ્વર તર્કથી નહિ, જીવંત જગતના સંપર્કથી જડે છે!
‘લાઈફ ઓફ પાઈ’ના આખો મેસેજ ફક્ત ત્રણ લીટીમાં એના લેખક યાન માર્ટેલે વર્ણવ્યો હતોઃ ”જીંદગી એક વાર્તા છે. તમે તમારી વાર્તા પસંદ કરી શકો છો. જે વાર્તમાં સર્જકતા અને કલ્પનાશીલતાનું માયાવી આવરણ હોય, એ વાર્તા બેહતર હોય છે!”
આ માયાવી આવરણ એટલે ધર્મ. કર્મથી ધર્મ વચ્ચેનો સંબંધ જોડતી, હિન્દુ-મુસ્લીમ-ખ્રિસ્તી ત્રણ ધર્મોનો પાયો તો એક જ સર્વશક્તિમાન પરમતત્વ સામેના શ્રદ્ધાપૂર્વકના સમર્પણમાં છે, એવું કહેતી આ કૃતિ છે. હિન્દુત્વનું પરમાત્મા અલગ સંચાલક નહિ પણ સ્વયં કણ-કણમાં વસેલી ઊર્જા અને સમયનું રૃપ છે વાળું દર્શન, ખ્રિસ્તી ધર્મની પ્રેમ અને પીડા (સફરિંગ)માંથી પસાર થઈ શુદ્ધ થવાનું વર્તન, અને ઈસ્લામનું સકળ બ્રહ્માંડની સામે ઝૂકીને એની મરજીનો કોઈ શરત વિના સ્વીકાર કરીને જીવવાનું ચિંતન ત્રણેનો ત્રિવેણી સંગમ એટલે કથાનાયક પાઈ પટેલ.
* * *
૨૦૦૧માં બહાર પડેલી નવલકથા અને એક મહિનાથી ભારતમાં સૂરજ શર્મા, ઈરફાન, તબૂને લીધે પોતીકી બનીને ધૂમ મચાવતી ફિલ્મને લીધે લાઈફ ઓફ પાઈનો કથાસાર હવે જાણીતો જ હોવાનો.
શિકારીનું ભૂલથી નામ ધારણ કરેલા રિચાર્ડ પારકર નામના કદાવર વાઘ સામે મુકાબલો કરી અને પછી વાઘ સાથે દરિયાઈ તોફાનો અને ભૂખ, થાક, એકલતાનો મુકાબલો કરી પાઈ અવનવા અનુભવોમાંથી પસાર થાય છે, અને છેલ્લે છે કહાની મેં ટવીસ્ટ. સોરી, કહાની જ એક ટવીસ્ટ છે. સત્ય શું? એ બાબતે પ્રેક્ષક-વાચક કન્ફ્યુઝ થાય છે, લી/માર્ટેલનો માસ્ટરસ્ટોક ઈમેજીનેશનથી ઈશ્વરની ખાલી જગ્યા પૂરવાનો છે!
* * *
પાઈનો બે જાપાનીઝો બચ્યા બાદ ઈન્ટરવ્યૂ લે છે ત્યારે (શેષશાયી વિષ્ણુના આકારના) માણસખાઉં ટાપુનું વર્ણન સાંભળીને એ લોકો ચોંકીને કહે છે કે ”આવા કોઈ ટાપુનું અસ્તિત્વ જ નથી” એટલે પાઈ કહે છે ”કારણ કે, તમે એના વિશે સાંભળ્યું નથી!” આ પ્યોર રેશનલ એપ્રોચની મર્યાદા છે. જે એને દેખાય- સંભળાય- પરખાય નહિ એનો એમાં સ્પષ્ટ ઈન્કાર છે. પણ આપણી આસપાસ કેટલીયે એવી બાબતો છે, જેનો તાગ અકળ છે. ફેકટર એક્સ. માણસના શરીરથી આકાશગંગા સુધી! અહીંથી શ્રદ્ધાનું ક્ષેત્ર શરૃ થાય છે. ‘ગોડ’ એક શોર્ટહેન્ડ છે, ભૌતિક પદાર્થની નજરે માપી ન શકાય એવા નિર્ણાયક પ્રવાહનું!
પાઈ કંઈ એટલે જ વિજ્ઞાાનનો વિરોધ નથી. વિજ્ઞાાન પણ સત્યની શોધ અને કાર્યકારણ સંબંધમાં, એના સિદ્ધાંતોમાં શ્રદ્ધા રાખે છે. પાઈ માટે એ ય એક ઈશ્વરદત્ત પગથિયું છે, સમજણના શિખરે પહોંચવાનું! સાયન્સ પાસે સીસ્ટમ છે, લોજીક છે- જે દુનિયા પર કંટ્રોલ કરવા જરૃરી છે. આફતોથી બચવા અનિવાર્ય છે. પાઈ એના પિતાએ અને શિક્ષકોએ આપેલા એ વૈજ્ઞાાનિક જ્ઞાાનનો ઉપયોગ કરીને જ વાઘને કાબૂમાં કરે છે, દરિયા વચ્ચે એકલો ટકે છે.
પણ વિજ્ઞાન રિસોર્સીઝના સોલ્યુશન આપે છે, ટેન્શનના નહિ. આનંદ અને આશા, રૂદન અને હતાશા એના ક્ષેત્રો નથી. બ્રહ્માંડનું પુરું અને સાચું ચિત્ર મેળવવા એમાં તાળો મેળવવાની ખૂટતી રકમ ઉમેરવી પડે તેમ છે, જે કશુંક મિસ્ટિક, અતાર્કિક, ગળે ન ઉતરે એવું છે. એ છે ઈશ્વર! ઈરરેશનલ એડેડ ટુ રેશનલ કમ્પલીટસ ધ યુનિવર્સ!
માટે જ કથાનાયકનું નામ અહીં રસપ્રદ છે. પાઈ. બધા નામો સિમ્બોલિક છે. (પાઈની દીકરીનું નામ ઉષા, પિતાનું નામ સંતોષ છે!) પાઈનું મૂળ નામ ફ્રેન્ચ ‘પિસિંગ’ છે, જે સ્વીમિંગ પુલનું નામ છે, જેનો માયથોલોજીકલ અર્થ છે- સુંદર દેવતાઓ નહાતા હોય એ હોજ! પાઈના જન્મથી જ જળ સાથેની એની ઘાત અને જોડાણ જાણે નક્કી છે. સાયન્ટિફિક રીતે પણ માનવશરીરમાં ત્રણ ચતુર્થાંશથી વધુ બહુમતી પાણીની છે. એટલે આપણી અંદર દરિયાનો અંશ છે. પણ દરિયો એટલે નથી કે આપણું પાણી લિમિટેડ છે, માપી શકાય તેમ છે. જ્યારે સમંદરનું પાણી અનંત છે, અગાધ છે. પાઈ દરિયા વચ્ચે છે, ત્યારે માત્ર દેહ જ એના અને સમુદ્રના પાણી વચ્ચેનું આવરણ છે.
આવું જ ઈશ્વરનું છે! આપણી જ અંદર એનો અંશ છે. એ અલગ નથી. એ શક્તિ અનંત બને ત્યારે માનવીય મટી, દેવતાઈ બને છે. દેહનું આવરણ મટે તો પાણી પાણી સાથે એકાકાર થવાનું જ છે! એ અનંત આકાશ, અફાટ સમુદ્ર એટલે માપી ન શકાય તેવા ઈરરેશનલ ઈશ્વર!
એટલે જ પિસિંગ પટેલનું બીજું નામ પાઈ છે. ગણિતમાં પાઈ ઈન્ટરેસ્ટિંગ આંકડો છે. એ ગ્રીક ફિગર ‘ઈરરેશનલ નંબર’ (અતાર્કિક સંખ્યા) ગણાય છે, પણ એનો સમીકરણમાં ઉપયોગ કરી રેશનલ પરિણામો મેળવી શકાય છે! વળી ૩.૧૪થી ટૂંકો થતો એ આંકડો વાસ્તવમાં લોબોલચ, અનંત છે. દશાંશ પછીના એના આંકડા યાદ રાખવામાં માનવમગજની મર્યાદા આવી જાય! અને પાઈની મદદથી વર્તુળનું (સર્કલ ઓફ લાઈફ?) માપ કાઢી શકાય!
ઈશ્વર પણ પૂરી દિમાગથી ન મળે એવો ઈરરેશનલ એન્ટીટી છે. ઈશ્વર તો માત્ર સરળતાથી સમજવાનું નામ છે. બાકી એ છે અગાધ અલૌકિક મહાશક્તિ. સાયન્સ માને છે, વિશ્વમાં એક વ્યવસ્થા- ઓર્ડર છે, જેની ખોજ કરતા રહેવાની છે. સ્પિરિચ્યુઆલિટી માટે વિશ્વ એક કેઓસ અંધાધૂંધી છે- જેમાં સમજવાનું નથી, પણ માનવાનું છે. અને આ બધામાં ધર્મગ્રંથો બહુ કામમાં આવતા નથી. ગીતા, બાઈબલ, કુરાનના પાઠ કર્યે ભગવાન સુધી પહોંચાતું નથી. નરસિંહ મહેતા જેવા કદી ગુજરાતની બહાર ન નીકળનારા ૫૦૦ વર્ષ પહેલા કહી ગયા… ‘ગ્રંથે ગરબડ કરી, વાત ન ખરી કરી… સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પરે… જોગી જોગંદરા કો’ક જાણે!’
જે ઝૂકે છે, એ જ આ યાત્રામાં ઉપર ઉઠે છે! દરેક ધર્મ પાસે માન્યામાં ન આવે તો ય આકર્ષક લાગે એવી અદભુત કહાનીઓ ઈશ્વરની છે એને ભેદીને એના સત્ય, એના પ્રકાશને પામવાનો છે. કર્મકાંડો એમાં ક્યાંક મદદરૃપ થાય, જેમ કે દરિયાનું એકાંત ભાંગવા પાઈ પ્રાર્થના, બંદગી બધું જ કરે છે. એ રીતે પોતાની જાતને એક નિયમમાં બાંધે છે – જસ્ટ ઈશ્વરની હાજરી પોતાને યાદ દેવડાવવા, પણ એટલા માત્રથી ચમત્કાર થતાં નથી.
ચમત્કાર (જો માનો તો, નહિ તો યોગાનુયોગ!) ત્યારે થાય છે, જ્યારે પાઈ ફરિયાદ નથી કરતો, કેવળ સુખ નથી માંગતો- બસ, ‘હરિ તું કરે તે ખરી’ના અભિગમથી કોઈ અજંપા વિના શરણે થઈ જાય છે. ક્રાઈસ્ટની માફક સફરિંગ- પીડામાં ય એને પરમાત્માની લીલા દેખાય છે. જો ઈશ્વર છે તો બધું કેમ સારું નથી થઈ જતું એવી ઘેલી દલીલો કરનારા વિશ્વભરના દુખો અને વેદનાઓનો હવાલો આપે છે. પણ ઈશ્વર કોઈ ફેકટરીનો બોસ નથી. સંસાર ડિવાઈન ડિઝાઈન સાથે ઓટોપાયલોટ પર ચાલે છે, જેમાં નિર્ણયોથી અને કર્મોથી દિશા અને દશા પલટાવી વિકાસ પામવાની છૂટ છે.
યાન માર્ટેલ લખે છે- દુર્દશામાં વધારે પડતી આશા રાખવી અને કામ ઓછું કરવું એ જોખમી છે! પુરું પેશન રાખો કામ બાબતે, બસ પરિણામ બાબતે ડિટેચ્ડ રહો! એમાં ખુદનો નહિ, ખુદાનો ભરોસો રાખો! દુખ અને પીડા પણ ઈશ્વરનું નિર્માણ છે. તર્ક અસ્તિત્વ ટકાવવા માટે જરૃરી છે, પણ અસ્તિત્વ પામવા માટે નહિ! જીવનના તોફાનો પણ ઈશ્વરની કૃપા છે, જે તમને મેચ્યોર બનાવે છે, ઘડતર કરે છે. તમારી ખૂબી-ખામીઓની ઓળખ કરાવે છે. મુસીબતો ઈશ્વરની ગેરહાજરીનો અહેસાસ કરાવતી નથી, એ ઈશ્વરથી વધુ નજીક આવવાની તક આપે છે. જેમાં એ સ્વયમ તમારી પીડાનો ભાગીદાર બને છે, અને તમારા એની સાથેના કનેકશનની જગ્યા ખુલે છે! જે હવા પ્રાણ ટકાવે છે, એ જ પ્રાણઘાતક ઈન્ફેકશન આપે છે. એમ તોફાનોમાં પણ ઈશ્વરનું સૌંદર્ય હોય છે, અને સુંદરતામાં પણ તોફાન!
એટલે જ પાઈ સાથે રિચાર્ડ પારકર છે. એક વાઘ. જે પ્રતીક છે, માણસમાં જ છુપાયેલા આક્રમકતા અને હિંસાના એનિમલ ઈન્સ્ટિંક્ટનું! જે એકલતા અને આફતોમાં વિકરાળ સ્વરૃપે બહાર પ્રગટ થાય છે! જ્યાં ઉપરછલ્લી ફોર્માલિટી ખરી પડે છે. માણસ પશુ બને છે, જીવવા માટે! અને બીજાનો શિકાર કરવા પ્રેરાય છે. આપણી અંદરના આ જાનવરથી ડરવાને બદલે એને કાબૂમાં લેતા શીખવાનું છે. ઈશ્વર માટે બહાર દલીલો કે તમાશા કરવાના નથી, અંદરના આ મહાસંગ્રામને જીતી એના સુધી પહોંચવાનું છે.
યુ નો ?,૧૮૮૪માં મિગ્નોરેટ્ટે શિપમાંથી બચેલા ૪ લોકોમાં એક રિચાર્ડ પારકર નામનો છોકરો હતો, જેને અન્ય ત્રણે ખાવા માટે મારી નાખ્યો હતો! એડગર એલન પોની વિખ્યાત નવલકથા ‘આર્થર પીમ’ (૧૮૩૮)માં એવો જ અંજામ પાર્કર નામના ખલાસીનો હતો ! આ કહાનીમાં દરેક નામની પાછળ પણ એક કહાની છે !
અને આ રિચાર્ડ પારકર આપણી જ અંદરની તાકાત, ક્રોધ, પશુતા, ક્રૂરતા, ભવ્યતા, શિકારનું બીજું નામ છે! અને ઈશ્વરની હાજરીનો અહેસાસ. જેના મૌન ટેકાથી યાત્રા પસાર કરી શકાય છે!
યસ, કોઈ તો હૈ, જીસ કે આગે હૈ આદમી મજબૂર… કોઈ તો હૈ જો કરતા હૈ મુશ્કિલ હમારી દૂર!
ફાસ્ટ ફોરવર્ડ
જીવન એટલે એક પછી એક બધું છોડતા જવાની કળા !….. દરેક દેશમાં ફરો ; તો અલગ-અલગ સ્ટેજ પર ભજવાતું એક જ નાટક!
(યાન માર્ટેલ)
bhogi gondalia
February 25, 2013 at 6:59 PM
lovely indeed !!
LikeLike
RonakHD
February 25, 2013 at 7:07 PM
રવિપૂર્તિ માં લેખ વાંચેલો અને એ વખતે પણ ખૂબ મઝા આવેલી ને હાલ ફરીથી વાંચતા વાંચતા પણ ખોવાઈ જ ગયો હતો ………….આ વખતના ઓસ્કારમાં એક જ ફરિયાદ રહી , એ બેસ્ટ એનીમેટેડ મૂવી ………… “રેક ઇટ રાલ્ફ” મને તો વધારે ગમ્યું હતું પણ “બ્રેવ” લઇ ગયું , જોકે કોમ્પીટીશન ટફ હતી ………..
બાકી તો ઓસમ ઇન્ડીડ ……. અને “બૂબ સોંગ” માં તો મઝા પડી ગઈ :P…………
LikeLike
pratik Shah
February 25, 2013 at 7:42 PM
Argo TorrentZ ma YIFY uploader amuki didu 6e.. jene jovani i6a hoi a download kari leje…
LikeLike
bkjethwa
February 25, 2013 at 7:45 PM
અદભૂત , તત્વમસી , અહમ બ્રહ્મોસમી , ઓંમ , પાઈ .. વર્ગીકૃત વ્યક્તિઓ ની સમજસીમાને સ્પર્શતી વાત….
LikeLike
Envy
February 25, 2013 at 9:06 PM
પાઈ જોઇને જયારે શારજાહ ના થીયેટર માંથી નીકળ્યો ત્યારે મગજ વિચારો વિનાનું પણ ખાલી નહિ, એવું થઇ ગયું હતું. એન્ગ લી ની આ જ તો સફળતા છે, સલામ આ યોગી ને
LikeLike
Jigar Patel
February 25, 2013 at 9:39 PM
thanks for posting, i had to admit that i had not understand movie but after reading your article i will surley gonna watch it again.thanks againa
LikeLike
urvesho0
February 25, 2013 at 11:34 PM
ઈરરેશનલ એડેડ ટુ રેશનલ કમ્પલીટસ ધ યુનિવર્સ! …
awesome
LikeLike
Rashmin
February 25, 2013 at 11:49 PM
Jaybhai, chhela 8 varsh thi tamne vanchu chhu. aa tamara best lekho mano ek chhe. Thanks for it. Tamara andar rahela aatman ne pranam.
LikeLike
hasmukh vaghela
February 26, 2013 at 12:01 AM
nice.
LikeLike
Ramesh Narendrarai Desai
February 26, 2013 at 8:04 AM
I do not know how to write in Gujarati on the computer hence I stick to English. But your language is a reflection of how we all speak in Gujarat. It is a mixture of Hindi-Urdu, English and Gujarati. It actually makes your prose more readable. When someone repeats your own views his words sound musical to you. This is what happened to me on reading your blog. I too write oneaccessible by going to http://rameshndesai.blogspot.com My son also writes one accessible by clicking on Santosh Desai City City Bang Bang. Having stayed for most part of our lives, we are more comfortable with English. Pure Nagari Gujarati rather puts us off. Incidentally, my late wife Japasvini’s pet name was Jay. Unconsciously perhaps one more reason to like your writings. If you happen to be in Vadodara, kindly look up this old man of 78. To me it will be fun. As for you, maybe !
LikeLike
parikshitbhatt
February 26, 2013 at 10:49 AM
મેં ફિલ્મ જોઈ નથી;હવે જોઈશ; પણ આ લેખ નો(અને ફિલ્મ નો) ટૂંકસાર- તમારામાંના ઈશ્વરને ઓળખો…. અદ્ ભૂત…
LikeLike
Janvi Purohit
February 26, 2013 at 12:48 PM
Really its a great movie & i want to read that novel also…
LikeLike
VIMAL BHOJANI
February 26, 2013 at 4:01 PM
LIFE OF પાઈ SAB KU6 PALENE JESA HE KU6 BHI 6ODNE JESA NAHI
LikeLike
tejas
February 26, 2013 at 6:27 PM
Perfect words in ” fast forward”..
જીવન એટલે એક પછી એક બધું છોડતા જવાની કળા !….. દરેક દેશમાં ફરો ; તો અલગ-અલગ સ્ટેજ પર ભજવાતું એક જ નાટક! …What a thought and very nice translation too…
LikeLike
Shivani
February 27, 2013 at 2:54 AM
Sir your article is as beautiful as the movie itself…May be even more!
LikeLike
Chhaya,Toronto
February 27, 2013 at 12:05 PM
I watched trailor of ‘life of Pie’ during very initial days of its release. had very much the same feeling (as detailed here by you) about the divine/grand message i can very well anticipate in the movie. Then I read about the Delhi incident that occurred to a sensitive girl after watching this film.How highly-motivated,trusting (shradhdhalu) about eternal positivity of nature/GOD she must have been after watching this movie and within hours, what happened to her!!!!!!!!!When i think of life of Pie,I remember her and is reminded of futility of grand experiences.I have not watched this movie yet despite being an ardent movie-lover.
LikeLike
Bhavesh Tank
February 27, 2013 at 2:39 PM
Nice review…probably best ….Here is another review of the movie which I found interesting…..http://bawandinesh.name/life-of-pi/
LikeLike
nishit raval aka vicky
February 28, 2013 at 10:19 PM
બૅન એફ્લેક માટે “ગૂડ વીલ હન્ટીંગ” પછી માન હતું… “આર્ગો” પછી તો ખતરનાક માન થઈ ગયું ! “બેઝ્ડ ઓન ટ્રુ સ્ટોરી” લખતા પહેલા દરેક ડાયરેક્ટર આ મૂવી જુએ તો કેવુ મસ્ત મૂવી બને ?
LikeLike
godandme
March 1, 2013 at 8:56 AM
Reblogged this on Talk to yourself and commented:
Amazing!!
LikeLike
bhavinsolanki
March 1, 2013 at 8:09 PM
For me it was bullsh*t, best vfx award is all I care about and it was totally wrong, Avengers has better vfx in every aspects.
LikeLike
sangita
March 3, 2013 at 12:01 PM
i have always liked your personal touch and depth in your writing,[in any subject].
LikeLike
sangita
March 3, 2013 at 12:04 PM
i have always liked your personal touch and depth in your writing.[in any subject]
LikeLike
Madhav Trivedee
March 4, 2013 at 12:26 AM
sir… a lekh to gajab 6e… ketlay vicharo ave che man ma pn atyare am kai shakay m nathi…kharekhar worth.. classic..a ghanu vicharva ane samajava ape che.. thanks 2 martel sir, ang lee sir and u.. jay vasavada!
LikeLike
shivam23
March 10, 2013 at 6:22 PM
Really ow some!!!!!!!
LikeLike