RSS

Daily Archives: June 21, 2013

ટાગોર-આઈન્સ્ટાઇન : બે મિસ્ટિક… એક મ્યુઝિક !

einstein tagore1

ટાગોરના નોબલ પ્રાઇઝ વિનર પુસ્તક ‘ગીતાંજલિ`નું નામ ઘણાએ સાંભળ્યું હશે, પણ અભ્યાસક્રમોમાં શેક્સપિયરના નાટકો અને વ્હીટમેનના કાવ્યો (એ પણ અદ્ભુત છે) યાદ રાખતા અને ક્વોટ કરતા ઘણા દોસ્તો ટાગોરને વાંચતા નથી. જીબ્રાન કે રૂમી જેવા જ આપણા આ મિસ્ટિક પોએટ છે. જે ઇબાદતની સાથે જ ઇશ્કની મુલાયમ, રમણીય વાતો કરી શકે છે. ધુમકેતુને વાંચનારી પેઢીને યીટસે ગીતાંજલિના આરંભે ટાગોર માટે શું લખ્યું, એ યાદ હશે પણ નવજાત ભાવકોના લાભાર્થે એની એક હાઈલાઇટ માણીએ…

‘રવિદ્રનાથ ટાગોરના શબ્દોમાં સંગીત વહે છે. એના શબ્દો જાદૂઇ છે. તાજાં છે. ઉત્સફૂર્ત (ઉફ્ફ, સ્પોન્ટેનિયસ, યુ સી) છે. એમાં આવેશમાંથી પ્રગટતી ઉત્કટ બહાદૂરી છે. એમાં સુખદ આશ્ચર્યના આંચકા છે, કારણ કે એ કદી કશું બચાવમાં, કૃત્રિમ કે અસહજ કરતા નથી. આ શબ્દો શણગારેલા પુસ્તકોના સ્વરૂપે બગાસાં ખાતી સ્ત્રીઓના ટેબલ પર પડયા રહેવા માટે નથી, કે જેમના માટે જીંદગી અર્થહીન છે. કે પછી એ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નથી કે જે લોકો જ્યારે જીંદગી શરૂ થાય છે, ત્યારે પુસ્તકો બાજુએ મૂકી દે છે.`

પણ જેમ જેમ પેઢીઓ પસાર થતી જશે, એમ રસ્તા પરનો કોઈ પ્રવાસી (ટાગોરના શબ્દો) ગણગણશે. ખળખળ વહેતી નદીમાં એ સંભળાશે. પ્રેમીઓ એક બીજાની રાહ જોતા જોતા આ ગીતો ગાશે. એમને દીવાનગીનું ઝનૂન દૈવી જાદૂઈ ઝરણાથી સ્વચ્છ થઇ નવજીવન પામશે. પથારીમાં પ્રિયજને આપેલી ગુબાલની પાંદડીઓ શોધતી છોકરી જેવા સંકેતોથી કવિ તત્ત્વ અને સત્ત્વની પ્રતીક્ષાની વાત કરે છે. એક એવી (ભારતીય) સંસ્કૃતિ… જ્યાં કવિતા અને ધર્મ એક જ ધારા છે.`

આવા રવિદ્રનાથ ટાગોર, સદીના જ નહિ સહસ્ત્રાબ્દીના મહામેધાવી આલ્બર્ટ આઈન્સ્ટાઈનને મળે ત્યારે ? ટાગોરે કળાથી જે સૃષ્ટિના રહસ્યગર્ભમાં ડોકિયું કર્ય઼ું, એ જ વિરાટદર્શન આઈન્સ્ટાઇને વિજ્ઞાનથી કર્ય઼ું. સાપેક્ષવાદની એમની બ્રહ્માંડનો ભેદ ઉકેલતી થિયરીમાં પણ કોઈ અદ્રશ્ય ‘પાઇડ-પાઈપર` (વાંસળીવાળા)ની કરામતનો એમણે ઉલ્લેખ કર્યો છે. જેની થિઅરીઝ પૂરી સમજવા માટે પણ સુપરજીનિઅસ હોવું જરૂરી છે એવા પ્રજ્ઞાવાન આઈન્સ્ટાઇન દ્રઢપણે માનતા કે સાંપ્રદાયિક રૂપે ચીતરાય છે, એવો ઇશ્વર નથી… પણ એક પરમ ચૈતન્ય એક અવ્યાખ્યાયિત ઊર્જા, એક ડિવાઇન ફોર્સ છે, જ્યાં વિજ્ઞાન, જ્ઞાન અને કર્મકાંડની પણ સરહદો પૂરી થઇ જાય છે. હર તરફ, હર જગહ, હર કહીં પે હૈ હાં ઉસી કા નૂર, કોઈ તો હૈ જીસકે આગે હૈ આદમી મજબૂર…

પૂર્વ અને પશ્ચિમના બે ઋષિઓ, બે મીનીષીઓ, બે ‘બોર્ન જીનિયસ` જેવા પ્રકાંડ પંડિતો, બે ઉમદા કળામર્મજ્ઞો, સૃષ્ટિના મૌન સંગીતને સાંભળનારા બે કીમિયાગરો અને એય પાછા જીવનવિરોધી, સંસારત્યાગી, નિરાશાવાદી ઉપદેશકો નહીં, પણ આનંદની તપસ્યા કરતા ઉલ્લાસ અને પ્રેમના પૂજારીઓ એકબીજા સાથે સંવાદ કરે ત્યારે ?

બુધ્ધ અને મહાવીર, રજનીશ અને કૃષ્ણમૂર્તિ એક જ સમયમાં થયા હોવા છતાં ક્યારેય સાથે મળીને એમણે ગોષ્ઠિ ન કરી, અને જગત કદાચ કેટલાક પરમ સત્યોથી વંચિત રહી ગયું. પણ આપણા સદનસીબે રવિદ્રનાથ ટાગોર આલ્બર્ટ આઈન્સ્ટાઈનને મળ્યા હતા !

જુલાઈ 14, 1930 બર્લિન ખાતે આઈન્સ્ટાઈન એમના અને ટાગોર બંનેના મિત્ર ડૉ. મેન્ડેલના ઘેર મહેમાન બનેલા ગુરૂદેવને મળ્યા. (અગાઉ ટાગોર આઈન્સ્ટાઈનના ઘેર પણ ગયેલા). બંને વચ્ચેની વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી, જે વર્ષો અગાઉ ‘રિલિજીયન ઓફ મેન’ પુસ્તકમાં પ્રસિધ્ધ કરવામાં આવી.

બ્રહ્માંડમાં નરી નજરે ન દેખાતા સત્યોને જોઈ શકનાર, ‘ડિવાઈન ડિઝાઈન`ને માણી શકનાર અને જીવનનૃત્યના સહજ સાધકો એવા આ બે યુગપુરૂષોએ થોડી અઘરી લાગે એવી વાતોમાં શું ગહન ચિંતન કર્ય઼ું ? ચાલો, એની છાલકમાં ભીંજાઈએ.

* * *
einstein tagore2

ટાગોર : નવા ગણિતિક સંશોધનો થયા છે કે વાસ્તવમાં અનંત સુધી રચાતા અણુબંધારણમાં ‘ચાન્સ` (અણધાર્યા વળાંકો)ની પણ ભૂમિકા છે. અસ્તિત્વનો આ ખેલ સાવ જ ‘પ્રિ-ડેસ્ટાઇન્ડ` (પૂર્વનિર્ધારિત) નથી.

આઈન્સ્ટાઈન : હકીકત એ છે કે વિજ્ઞાન પણ કાર્યકારણના સંબંધને નજરઅંદાજ કરતું નથી.

ટાગોર : હશે, પણ મને લાગે છે આવા અચાનક બનતા અકસ્માતો કે વળાંકો મૂળ તત્ત્વો (પંચમહાભૂત ?) માં નથી. પણ આ સુનિયોજીત બ્રહ્માંડમાં કોઈ બીજા બળો પણ ઉત્પન્ન થાય છે.

આઈન્સ્ટાઈન : જેમ જેમ ઉપર ઉડીને નજર કરો કે કેવી વ્યવસ્થા છે, તો ખબર પડે છે કે કોઈ અદ્રશ્ય વ્યવસ્થા તો છે જ. જેમાં મોટી બાબતો સાથે મળીને અસ્તિત્ત્વ (બીઇંગ, એક્ઝિસ્ટન્સ) તરફ દિશાસૂચન કરે જ છે. પણ નાની બાબતો (એલીમેન્ટસ) કેવી રીતે આ વ્યવસ્થામાં વર્તે છે, એનું અનુમાન મુશ્કેલ છે.

ટાગોર : આ ડયુઆલિટી (દ્વૈત, બેવડી રમત) અસ્તિત્ત્વનું જ ઊંડાણ છે. વિરોધાભાસો અને મુક્ત તરંગી ઘટનાઓથી જ કદાચ સુઆયોજીત વ્યવસ્થા નિર્માણ થતી જાય છે.

આઈન્સ્ટાઈન : આધુનિક ભૌતિકવિજ્ઞાન એમ તો નહિ કહે કે આ બધું વિરોધાભાસી છે. આપણને દૂરથી વાદળ એક જ અખંડ દેખાય છે. પણ એને નજીકથી જઇને જુઓ તો એ આડેધડ, અવ્યવસ્થિત રીતે એકઠાં થયેલા જળબિંદુઓ છે !

ટાગોર : હું એવું જ માનવીના મનમાં જોઉં છું. આપણી કામનાઓ અને દીવાનગીઓ નિરંકુશ છે, બેહિસાબ છે. પણ આપણું ચરિત્ર કે વ્યક્તિત્વ એને સુસંવાદિત (હાર્મોનાઇઝ) કરે છે (એને ચોક્કસ લયમાં બેસાડે છે). શું આવું જ ભૌતિક જગતમાં બને છે ? એમાં પણ અચાનક કોઈ ક્રાંતિકારી , ગતિશીલ, આગવો તરંગ ઉઠે છે ? અને ભૌતિક જગતમાં કોઈ નિયમ છે જે આવા અનાયાસ ચમકારાને વ્યવસ્થાના નિયમોમાં ગોઠવે ?

આઈન્સ્ટાઈન : કોઈ તત્વ  ગાણિતિક આયોજનથી બહાર નથી. રેડિયમના કિરણોત્સર્ગ પણ આજે, અત્યારે આવતીકાલે એક ચોક્કસ વ્યવસ્થાને જ અનુસરશે. તમામ ભૌતિક તત્ત્વો પાછળ એક ગાણિતિક માળખું છે.

ટાગોર : નહીં તો અસ્તિત્ત્વનો આ ખેલ બહુ જ ‘અફડાતફડી`વાળો (રેન્ડમ) થઇ જાય ! મને લાગે છે કે ચાન્સ (અણધારી ઘટનાઓ) અને ડિટરમિનેશન (નિયમો, નિર્ણયો) વચ્ચેનું સંતુલન જ આ જગતને શાશ્વત તાજું અને જીવંત રાખે છે.

આઈન્સ્ટાઈન : હું માનું છું કે આપણે જે કંઇ કરીએ છીએ, જીવીએ છીએ એની પાછળ એક ચોક્કસ કાર્ય-કારણનો સંબંધ (કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશન) રહેલો છે. એ સારું છે, પણ આપણે એને પુરેપુરો જોઇ કે સમજી શક્તા નથી.

ટાગોર : માનવજીવનમાં પણ થોડીક લવચીકતા (ઇલસ્ટિસીટી) જરૂર હોય છે. થોડાક અંશે મુક્તિ મળે, આઝાદી મળે જે આપણા વ્યક્તિત્વને અભિવ્યક્ત કરે. આ ભારતીય સંગીત જેવું છે, જેને પાશ્ચાત્ય સંગીતની જેમ જડતાથી એક ચોક્કસ માળખામાં બેસાડી દેવામાં આવ્યું નથી. અમારા કમ્પોઝર્સને એક ચોક્કસ રૂપરેખા અપાય છે. એક મેલોડી અને રિધમિક એરેન્જમેન્ટની સીસ્ટમ હોય છે. પણ (એ આઉટલાઈનમાં) કેટલીક હદે સંગીતકાર ‘ઈમ્પ્રુવાઇઝ’ કરી શકે છે. એણે ચોક્કસ લય-તાલ અને સૂરના નિયમ સાથે એકાકાર બનવાનું છે, પણ સાથોસાથ તમામ ‘પ્રિસ્કાઇબ્ડ` નીતિનિયમોની વચ્ચે એની મ્યુઝિકલ ફીલિંગમાંથી આવતું સાહજીક અને તત્કાળ (સ્પોન્ટેનિયસ) એક્સપ્રેશન પણ આપવાનું છે. અમે સંગીતકારને એની બુનિયાદી માળખુ ગોઠવવાની પ્રતિભા અને રાગ-રાગિણીઓની સમજ માટે બિરદાવીએ છીએ. પણ અમે એવી ય અપેક્ષા રાખીએ કે કળાકારની પોતાની આવડતથી એ એમાં કશુંક નવું વૈવિધ્ય ખીલવે, નવી તરત જ કે નવી વાદ્યરચના રજુ કરે. સર્જનમાં આપણે અસ્તિત્ત્વના પાયાના મૂળભૂત નિયમોનું પાલન કરીએ, પણ આપણે આપણી જાતને એને લીધે બંધાયેલી ન રાખીએ. આપણી પાસે આપણા વ્યક્તિત્વને અનુરૂપ ‘સેલ્ફ એક્સપ્રેશન`ની પૂરતી મોકળાશ હોવી જોઇએ !

આઈન્સ્ટાઈન :  આવું કમ સે કમ સંગીતમાં ત્યારે જ શક્ય બને જ્યારે કળાત્મકતાનો એક મજબૂત વારસો આગળથી ચાલ્યો આવતો હોય. યુરોપમાં તો (ક્લાસિકલ વેસ્ટર્ન) સંગીત લોકો અને લોકપ્રિયતાથી દૂર જઇને ચોક્કસ પરંપરાની ‘સિક્રેટ આર્ટ` બની ગયું છે.

ટાગોર : તમારે આ જટિલ પશ્ચિમી સંગીતમાં સંપૂર્ણપણે આજ્ઞાકારી રહેવું પડે. ભારતમાં તો ગાયકની સર્જનાત્મક પ્રતિભાનો માપદંડ એની આગવી ઓળખ છે. એ મેલોડીના સર્વસામાન્ય નિયમોનું આગવું અર્થઘટન કરી, પોતાની ક્રિએટિવિટીથી એ કમ્પોઝરનું સોંગ જુદી રીતે ગાઈ શકે.

આઈન્સ્ટાઈન : ઓરિજીનલ મ્યુઝિકમાં પોતાના આઇડિયા ઉમેરવા માટે ઉચ્ચ કક્ષાની કળા જોઇએ. અમારે ત્યાં તો વૈવિધ્ય પણ અગાઉથી સૂચવવામાં આવે છે !

ટાગોર : જો આપણે આપણા વિચારમાં સારપ રાખીu, ‘ઉત્તમ` રહેવાનો નિયમ અનુસરીએ તો આપણને સ્વ-અભિવ્યક્તિની ખરી સ્વતંત્રતા મળે. કેમ વર્તવું (જીવવું) એનો સિધ્ધાંત તો છે જ, પણ આપણા ચરિત્રમાં આપણે એને કેવી રીતે સાચો બનાવીએ છીએ એ આપણું આગવું સર્જન છે. અમારા સંગીતમાં જેમ આઝાદી અને વ્યવસ્થાનો વિરોધાભાસી છતાં મનોહર સંગમ છે, તેમ !

આઈન્સ્ટાઈન : શું ભારતમાં ગીતો પણ મુક્ત હોય છે ? ગાયક પોતાના શબ્દો ગાઈ શકે ?

ટાગોર : બંગાળમાં અમારે કીર્તન થતા હોય છે, જેમાં ગાયક મૂળ ગીતમાં પોતાની કોમેન્ટસ ઉમેરી શકે. એ ઉત્સાહમાં આવી જાય તો એના સુંદર ઉમેરાથી ભાવકો ઝૂમી ઉઠે.

આઈન્સ્ટાઇન : ને એ સંગીતનું ચોક્કસ સ્વરૂપ હોય ?

ટાગોર : હા. રિધમની મર્યાદા ધ્યાનમાં રાખવી પડે, અને સમયની પણ. યુરોપિયન સંગીતમાં સમયની બાબતે મોકળાશ છે. પણ એમાં માધુર્ય ઓછું છું.

આઈન્સ્ટાઇન : ભારતીય સંગીતમાં શબ્દો વિનાના ગીત હોય ? એ સમજાય ?

ટાગોર : ઘણી વખત એવા ગીતો હોય જેમાં શબ્દોને બદલે નોટસને મદદ કરતા અવાજો (લા…લા…લા) હોય. ઘણા વિસ્તારોમાં માત્ર વાદ્યનું જ સંગીત હોય, જે મેલોડીનું વિશ્વ રચી આપે.

આઈન્સ્ટાઇન : એ પોલિફોનિક (એકથી વધુ  ઈન્સ્ટ્રુમેન્ટસ વાળું ) ન હોય ?)

ટાગોર : વાદ્યો હોય, પણ સંવાદિતા માટે નહિ, મધુરતા અને ઊંડાણ માટે તમારા સંગીતમાં વાદ્યોની હાર્મનીમાં મેલોડી ખોવાઈ ગઈ હોય એવું નથી લાગતું ?

આઈન્સ્ટાઇન : ક્યારેક વાદ્યો મધુરતાને ગળી જતા હોય છે.

ટાગોર : મેલોડી (લય) અને હાર્મની (વાદ્યોનો તાલ) ચિત્રના રંગો અને રેખાઓ જેવા છે. એક સાદું શ્વેત-શ્યામ ચિત્ર બેહદ સુંદર હોય. એમાં જેમ-તેમ રંગો પૂરવા જાવ તો વિચિત્ર અને બેહૂદું લાગે. પણ રેખાઓની સાથે સંયોજન કરી કુશળતાથી રંગો પૂરો તો તો મહાન ચિત્ર બને. મૂળ ભાવને ખતમ કરવાને બદલે ઉપસાવે એવું રંગ-રેખાનું કોમ્બિનેશન જોઇએ.

આઈન્સ્ટાઈન : સરસ સરખામણી કરી. રેખાઓ મૂળભૂત છે, પછી નવીન રંગો આવે છે. એટલે જ તમારા સંગીતની મધુરતા પહેલા છે, પછી માળખું…

ટાગોર  : પૂર્વ અને પશ્ચિમના સંગીતની મન પરની અસર પારખવી મુશ્કેલ છે. જો કે, મને પશ્ચિમી સંગીત પણ ડોલાવે છે. હું માનું છું કે એનું સ્ટ્રકચર વિશાળ છે અને કમ્પોઝિશન ભવ્ય હોય છે. અમારા ગીતો અંદરથી સ્પર્શે છે, પણ પાશ્ચાત્ય સંગીત એક મહાગાથા જેવું છે… પહોળા અને ફેલાયેલા પ્રાચીન મહેલ જેવું…

આઈન્સ્ટાઈન : અમે પાશ્ચાત્યો જવાબ ન આપી શકીએ એવો આ સવાલ છે, કારણ કે અમને અમારા સંગીતની ટેવ છે. અમે જાણવા માંગીએ છીએ કે અમારા સંગીતમાં માનવસંવેદનો કેટલા ઝીલાય છે ? શું અમારા સ્વરસંયોજન – નિયોજન પ્રાકૃતિક છે ?

ટાગોર : કોણ જાણે કેમ પિઆનો મને ગુંચવે છે. વાયોલીન ખુશ કરે છે.

આઈન્સ્ટાઈન : એક ભારતીય કે જેણે બચપણમાં ક્યારેય યુરોપિયન મ્યુઝિક ન સાંભળ્યું હોય, એના પર એની કેવી અસર થાય એનો અભ્યાસ રસપ્રદ રહે.

ટાગોર : મેં એક અંગ્રેજ સંગીતકારને મારા માટે એક શાસ્ત્રાeય સંગીતની રચનાનું વિશ્લેષણ કરી એની સુંદરતા વર્ણવવાનું કહ્યું હતું.

આઈન્સ્ટાઈન : શ્રેષ્ઠ સંગીત પૂર્વનું હોય કે પશ્ચિમનું, એની સૌથી મોટી કઠિનાઈ એ છે કે એને માણી શકાય, એનું એનાલિસિસ ન થાય.

ટાગોર : સાવ સાચું, અને જે શ્રોતાને ગેહરી અસર કરે એ એનાથી પર હોય છે. અલૌકિક !

આઈન્સ્ટાઈન : આ જ અચોક્કસતા, રહસ્ય આપણા દરેક અનુભવોના પાયામાં હંમેશા રહેવાની છે. સાપેક્ષ દ્રષ્ટિકોણ.. પછી યુરોપ હોય કે એશિયા કે કળા પ્રત્યેનો પ્રતિભાવ… આ તમારા ટેબલ પર રહેલું લાલ ગુલાબ પણ તમારા અને મારા માટે એકસરખું નહિ હોય…

ટાગોર : અને છતાંય હંમેશા એ બે અલગ દ્રષ્ટિને એકાકાર કરવાની પ્રક્રિયા ચાલશે, જેમાં વ્યક્તિની સ્વતંત્ર રૂચિ સાથે બ્રહ્માંડની અખિલાઈનો સમન્વય થાય.

einstin tagor 3
* આજના વિશ્વ સંગીત દિવસ નિમિત્તે ભારત, પશ્ચિમ, સંગીત અને જીવનને સમજાવતા એક કળામહર્ષિ અને એક વિજ્ઞાનમહર્ષિનાં ઉપનિષદતુલ્ય સુરીલા સંવાદનો થોડા વર્ષો પહેલાનો સહેજ અઘરો પણ અનન્ય લેખ થોડી કાપકૂપ સાથે. happy world music day :-”